રાજકોટ, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આજે બપોરના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે ઈકો ગાડીને ધડાકાભેર ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.
આ અકસ્માતમાં અન્ય ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલથી લૌકિક પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા થાનગઢના પાટડીયા પરિવારની ઈકો કારને ટાટા મોટર્સના શોરૂમ પાસે સામેથી આવતી સ્કોર્પિયોએ ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં થાનગઢના રહેવાસી બે સગા ભાઈઓ ૭૦ વર્ષીય શામજીભાઈ નરશીભાઈ પાટડીયા અને ૬૦ વર્ષીય મગનભાઈ નરશીભાઈ પાટડીયાના મોત થયા છે. પરિવારના બે મોભીઓના એકસાથે મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ઈકો ગાડીનો કુરચો બોલી ગયો હતો.
આ દુર્ઘટનામાં હંસાબેન મગનભાઈ પાટડીયા (થાનગઢ), સરસ્વતીબેન જાગાણી (રાજકોટ), ઉષાબેન પાટડીયા (રાજકોટ), સાહિલ યાકુબ કુરેશી અને મહેબૂબભાઈ અંસારીને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે. રાજકોટ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.SS1MS

