પેટલાદના યુવક સહિત ૪પ લોકો સાથે રૂ.૧.૪૮ લાખની છેતરપિંડી
(એજન્સી)આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરના મૂળ વતની હાલ વડોદરા શહેરમાં સ્ટાર રેસીડેન્સી વસંત વિહાર ભાયલી રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે ૪પ જેટલા લોકોને વારાણસી ખાતે યોજાયેલી કથામાં લઈ જવા માટે રૂ.૧.૪૮ લાખ ઉપરાંતની રકમ ઓનલાઈન મેળવી લઈને ટિકિટ બુક નહીં કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પેટલાદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં નાના પંડયાની પોળ વિસ્તારમાં કુણાલ કિરીટભાઈ ત્રિવેદી રહે છે. તેઓ દસ વર્ષ પહેલાં પેટલાદ રાજકીય સંસ્કૃત પાઠ શાળામાં પૂજાપાઠ કરવા માટે જતા હતા ત્યારે તેમની સાથે વડોદરા ખાતે રહેતા મૂળ ખંભાતના ચિરાથભાઈ મુકેશચંદ જોષી પણ પૂજાપાઠ શીખવા માટે આવતા હોવાથી તેમની સાથે ઓળખાણ થઈ હતી.
તેમને અઢી માસ અગાઉ ચિરાગ્ભાઈ જોષીએ કહ્યું હતું કે, વારાણસી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ પ-૩-ર૦ર૬થી ૧૧-૩-ર૦ર૬ સુધી કરવામાં આવ્યું છે જે કથામાં તમારે તેમજ બીજા લોકોને આવવું હોય તો જણાવજો
તેમ કહેતા કૃણાલભાઈએ પોતાની ઓળખીતાઓને આ બાબતે વાત કરતાં ૪પ લોકો વારાણસી જવા માટે તૈયાર થયા હતા જેથી ચિરાગભાઈએ વડોદરાથી તા.૪-૩-ર૦ર૬ના રોજ ટ્રેનમાં જવાનું છે તેમ જણાવીને એક વ્યક્તિના રૂ.૩૩૦૦ થશે જે ગૂગલ પેથી મોકલી આપજો જેથી રેલવેની ટિકિટ બુક કરાવી શકાય તે પણ જણાવ્યું હતું
જેથી કૃણાલભાઈએ પોતાના ઓળખીતા તમામ ૪પ લોકો પાસેથી ગૂગલ પેથી નાણાં મંગાવીને રૂ.૧,૪૮,પ૦૦ની રકમ ચિરાગભાઈ જોશીને ગૂગલ પેથી મોકલી આપ્યા હતા દરમિયાન વારાણસી જવાની તારીખ નજીકમાં આવતા ચિરાગભાઈને રેલવેની ટિકિટ બુક થઈ હોય તો મોકલી આપવા જણાવતા જ ચિરાગભાઈએ એજન્ટે ટિકિટો બુક કરાવી જેથી તેમણે ટિકિટ કેન્સલ થઈ હોય તો પૈસ્ પરત આપો તેમ કહેતા જ ચિરાગભાઈએ હાલ મારી પાસે નાણાં નથી,
આવશે ત્યારે આપીશ તેમ કહીને આજ દિન સુધી નાણાં પરત આપ્યા ન હતા જેથી કૃણાલભાઈ સહિતના લોકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવ અંગે કૃણાલભાઈ કિરીટભાઈ ત્રિવેદીએ પેટલાદ શહેર પોલીસ મથકનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવતા પોલીસે મૂળ ખંભાતના હાલ વડોદરા ભાયલી રોડ વિસ્તારમાં રહેતા ચિરા મુકેશ ચંદ્રજોષી વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

