(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં આજે દુર્ઘટનાસભર ઘટના બની હતી, જેમાં ચાર યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી મુજબ, યુવકો સરોવર પાસે ફરવા ગયા હતા ત્યારે અચાનક પાણીમાં ઉતરતા આ અકસ્માત બન્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઝડપી કામગીરીના કારણે ચારમાંથી ત્રણ યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે, એક યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.
ફાયર વિભાગે ભારે મહેનત બાદ મૃત યુવકનો દેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. વડોદરાથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મહીસાગર નદી કિનારે આવેલ કોટના બીચ પર ન્હાવા ગયેલા યુવાનોમાં બેના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ તરફ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાથી કુલ ૯ યુવાનોનો જૂથ કોટના બીચ પર ન્હાવા માટે ગયો હતો. નદીમાં ઉતર્યા બાદ કેટલાક યુવાનોને તરતા ન આવડતાં તેઓ પાણીના ઊંડાણમાં ફસાઈ ગયા. પરિસ્થિતિ ગંભીર બનતા આસપાસ હાજર સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિકોના પ્રયાસોથી ચાર યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ દુર્ભાગ્યવશ બે યુવકોને બચાવી શકાયા નહોતા અને તેઓ ડૂબી જતાં મોતને ભેટ્યા હતા.
આ તરફ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી. પ્રાથમિક તારણ મુજબ, યુવાનોને તરવાની યોગ્ય કળા ન હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ફરી એકવાર સૂચવે છે કે નદી કે પાણીના સ્થળોએ જતાં સમયે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.

