શહેરોમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ બનાવાશે
સર્વાંગી વિકાસ અને ‘મુખ્યમંત્રી નગર નવજીવન યોજના’ દ્વારા જૂના વિસ્તારોનો થશે કાયાકલ્પ
*મહાનગરપાલિકાઓમાં રમતગમત સુવિધાઓ અને ફ્લાયઓવરની નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ*
વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની રૂ. ૩૩,૫૦૪ કરોડની અંદાજપત્રીય માંગણી પસાર
ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની પર ચર્ચા કરતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,ગુજરાત આજે ભારતના શહેરી વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. રાજ્યની ૪૮ ટકા વસ્તી શહેરોમાં વસે છે,જેને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૩૩,૫૦૪ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ માત્ર ખર્ચ નથી,પરંતુ ગુજરાતના શહેરી ભવિષ્યમાં કરાયેલું રોકાણ છે.
મંત્રીશ્રી દેસાઇએ કહ્યું કે મોટા શહેરોમાં મેટ્રોની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મેટ્રો ફેઝ-૩ હેઠળ થલતેજથી ગોધાવી (Thaltej Gam – Shilaj – Godhavi line) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી એરપોર્ટ સુધી ૫૮.૫૩ કિમીનું વિસ્તરણ કરવામાં આવશે. આ મેટ્રો પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ. ૨૨૧૭.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરોમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ અને મેળાઓના આયોજન માટે કુલ રૂ. ૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શેરી ફેરિયાઓ માટે ૪૩ સ્થળોએ આધુનિક માર્કેટ બનાવવા ‘CMમોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ યોજના’ હેઠળ રૂ. ૮૦ કરોડ ફાળવાયા છે.
ગુજરાત આજે વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એવા તબક્કે પ્રવેશ કરી ચૂક્યું છે જ્યાં શહેરો માત્ર વિસ્તરી નથી રહ્યા,પરંતુ વ્યવસ્થિત,માનવકેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહ્યા છે. અમે રસ્તા,મેટ્રો-રેલ,એરપોર્ટ અને ડિજિટલ સિસ્ટમ્સને અલગ-અલગ નહીં,પરંતુ એક સર્વાંગી શહેરી વિકાસના ભાગરૂપે આગળ વધારી રહી છે.
આ વિકાસ માત્ર આજની જરૂરિયાતો પૂરતો મર્યાદિત નથી,પરંતુ આવનારા દાયકાઓ માટે ભવિષ્યલક્ષી શહેરો તૈયાર કરવાનો મજબૂત આધારસ્તંભ છે. સ્માર્ટ પાર્કિંગ,ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી દ્વારા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
શહેરોમાં આર્થિક ક્ષમતા અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ‘કોર સિટી’ વિસ્તારોના વિકાસ માટે સરકાર “મુખ્યમંત્રી નગર નવજીવન યોજના” અમલમાં લાવી છે. આ યોજના માટે આગામી વર્ષ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શહેરોના માર્કેટ અને કોમર્શિયલ પોટેન્શિયલ ધરાવતા વિસ્તારોમાં ‘બ્રાઉનફિલ્ડ પુનર્વિકાસ’ દ્વારા આર્થિક તકો ઊભી કરવામાં આવશે. પસંદગીના વિસ્તારોમાં જૂની ડ્રેનેજ લાઈનો,પાણી પુરવઠાની લાઈનો અને રસ્તાઓના સુધારણા સાથે આ વિસ્તારોને ટકાઉ (Sustainable)અને હરિયાળા બનાવાશે.
મંત્રીશ્રીએ કહ્યું કે અમદાવાદને આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે તૈયાર કરવા રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોટેરા,નવરંગપુરા અને હીરાવાડી જેવા મુખ્ય સ્પોર્ટ્સ સ્થળોની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવામાં આવશે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાવસાયિક રમતગમત સુવિધાઓ અને ફ્લાયઓવરની નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

