(પ્રતિનિધિ) ગોધરા, રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં ચેકની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોનો ભરોસો મજબૂત બને તે માટે અદાલતો દ્વારા ચેક રિટર્નના કેસોમાં કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના એક મહત્વના કેસમાં આરોપીને સજા ફટકારી સાથે ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોધરાના બહારપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી મુકેશ જગદીશભાઈ અડવાણીએ કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સંતરોડ પોલીસ સ્ટેશન સામે રહેતા મનિષ અમૃતલાલ સૂર્યવંશીએ પોતાના અંગત કામ માટે તેમની પાસેથી રૂ.૩ લાખ હાથ ઉછીના લીધા હતા. ત્યારબાદ આ રકમ પરત ચુકવવા માટે આરોપીએ બેંક ઓફ બરોડા, સંતરોડ શાખાનો રૂ.૩ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
ફરિયાદીએ ચેક પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મુકતા આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદી દ્વારા કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં આરોપીએ રકમ ચૂકવી ન હતી. જેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન અંગે ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોના પુરાવા તેમજ ફરિયાદી તરફથી એડવોકેટ અશોક સામતાણી દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈ ગોધરાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.સી. ગોહિલે આરોપી મનિષ અમૃતલાલ સૂર્યવંશીને ચેક રિટર્નના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો.
અદાલતે આરોપીને ૬ મહિનાની સાદી કેદની સજા ફટકારી સાથે ફરિયાદીને રૂ.૩ લાખ વળતર તરીકે ૩૦ દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે. સાથે જ જો આરોપી નિર્ધારિત સમયમર્યાદામાં વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તે રકમ જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરી કોર્ટમાં જમા કરાવવા જિલ્લા કલેક્ટરને પણ અદાલતે આદેશ કર્યો છે.

