ભરૂચ સ્થિત આત્મીય હોલ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ’
વેદો એ સૃષ્ટિનું આદિ જ્ઞાન અને માનવ સભ્યતાનું મૂળ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ભરૂચ સ્થિત આત્મીય હોલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રના કલ્યાણ તેમજ સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ૧૯ વર્ષની નાની વયે ૨૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર “દંડકમ” પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેખે તથા તેમની સાથેના ઘનપાઠી વિદ્વાનો સહિત કુલ આઠ જેટલી વેદમૂર્તિઓનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી કરવામાં આવી હતી. પૂર્વમંત્રીશ્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સભાને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,ભારત દેશ અને અહીંની પરંપરાનું નામ જ‘વૈદિક સંસ્કૃતિ‘છે,જેનો ઉદય વેદોમાંથી થયો છે. વેદો અખિલ ધર્મોનું મૂળ છે. સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતાનો ઉદ્ગમ અને મનુષ્યને સાચો વ્યક્તિ બનાવવાનું કાર્ય વેદો દ્વારા જ થયું છે.
રાજ્યપાલશ્રીએ વેદોની સર્વોપરિતા અને વિજ્ઞાન વિશે વાત કરતા ઉમેર્યું કે,વેદ‘અપૌરુષેય‘એટલે કે ઈશ્વરીય જ્ઞાન છે. સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરે ચાર પવિત્ર ઋષિઓ – અગ્નિ,વાયુ,આદિત્ય અને અંગિરાના હૃદયમાં આ જ્ઞાન સ્ફુટ કર્યું હતું,જે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા આજે આપણા સુધી પહોંચ્યું છે.
વિદેશી આક્રમણકારો દ્વારા ભારતના જ્ઞાનભંડાર અને ગ્રંથોને સળગાવીને નષ્ટ કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે,આપણી સંસ્કૃતિ અને જ્ઞાન અક્ષુણ્ણ રહ્યું છે તેનું શ્રેષ્ઠ શ્રેય આવા વૈદિક બ્રાહ્મણ પરિવારોને જાય છે,જેમણે પુસ્તકો બળી જવા છતાં વેદોને મોઢે કંઠસ્થ રાખીને પેઢી દર પેઢી આ અમૂલ્ય વારસો બચાવ્યો છે. આજે જ્યાં દરેક માતા-પિતા બાળકને માત્ર ધન કમાવવા ભોગવાદી શિક્ષણ તરફ ધકેલે છે,ત્યાં પોતાના પુત્રને દેશ અને સંસ્કૃતિ માટે વેદાધ્યયનમાં સમર્પિત કરનારા પરિવારો ખરા અર્થમાં સાધુવાદને પાત્ર છે.

અંતે તેમણે કહ્યું કે,વેદના વૈશ્વિક સંદેશ “મનુર્ભવ” (સાચા માણસ બનો)ની વિભાવના સમજાવતા રાજ્યપાલશ્રીએ પરસ્પર પ્રેમ અને કરુણાભાવ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે છેલ્લે આહ્વાન કર્યું હતું કે,જો રાષ્ટ્રને ફરીથી વિશ્વગુરુ અને આધ્યાત્મિક કેન્દ્ર બનાવવું હોય તો આપણે સૌએ આપણા મૂળ જ્ઞાનભંડાર તરફ એટલે કે વેદો તરફ પાછા વળવું પડશે.

