નવસારી જિલ્લા-તાલુકા પંચાયત બિનહરીફ, ઈવીએમના દર્શન દુર્લભ
નવસારી, નવસારી જિલ્લામાં થઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બે મત આપવાનો અધિકાર છે પણ જિલ્લાના ૪૭ ગામના અંદાજે ૧ લાખથી વધુ મતદારો એકપણ મત આપી શકશે નહી. આ સ્થિતિ અનેક બિનહરીફ બેઠકોના કારણે થઈ છે.
નવસારી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય મતદારે બે મત આપવાના અને મનપા, પાલિકામાં કુલ ૪ મત આપવાના છે. ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે ૭ લાખથી વધુ મતદાર છે ત્યાં અનોખી સ્થિતિ પેદા થઈ છે.
જિલ્લામાં ૩પ૦થી વધુ ગામો છે તેઓના લોકોને બે મત આપવાનો અધિકાર છે જેમાં એક મત જિલ્લા પંચાયતના ઉમેદવારને અને એક મત તાલુકા પંચાયતના ઉમેદવારને આપવાનો છે. જોકે જિલ્લાના ૪૭ ગામોના અંદાજે ૧ લાખથી વધુ મતદારો એવા છે જેઓને બે મત આપવાનો અધિકાર હોવા છતાં એકપણ મત આપી શકશે નહી.
આ સ્થિતિ નિર્માણ થવાનું કારણ બિનહરીફ થયેલ જિલ્લા પંચાયત અને તાલુકાની બેઠકો છે. આ ૪૭ ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયત બંનેની બેઠક બિનહરીફ થઈ હોય તેઓ પવિત્ર મત આપી શકશે નહી.

