અમદાવાદ, લગ્નેતર સંબંધો અને પ્રેમ પ્રકરણમાં ૧૯૯૨માં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. વટવાના કુતુબનગરમાં પરિણિત શમસુદ્દીનને મળવા માટે તેની સ્ત્રીમિત્ર શબનમ ઉર્ફે ફરઝાના આવી હતી અને ઘરમાં થયેલી તકરારને કારણે તેની હત્યા કરવામાં આવી હતી. શબનમ ઉર્ફે ફરઝાના હવે હત્યારાના પરિવારજનોના સપનામાં આવી તેમને પરેશાન કરતી હોવાની વાતો ચર્ચાતી હતી.
જેથી તેનો નિકાલ કરવા પરિવારે તાંત્રિકની મદદ લીધી અને આ વાત ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી ગઈ. ક્રાઈમ બ્રાન્ચે ૩૫ વર્ષ પહેલા થયેલી હત્યાના પુરાવા મેળવવા માટે આ ઘરમાં જેસીબીથી ખોદકામ શરૂ કરી કથિત કંકાલ મેળવ્યા છે. હવે એફએસએલના રિપોર્ટ બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઊઠશે.
આ કેસમાં હત્યારા શમસુદ્દીનનું પણ મૃત્યુ થયું છે. જોકે હત્યામાં તેના પરિવારજનોની સંડોવણી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. શમસુદ્દીનના પરિવારજનોએ ઘર અન્ય લોકોને વેચી દીધું છે.
હવે તપાસ બાદ ઘણી વિગતો ખૂલશે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વણઉકેલાયેલા કેસોના ભેદ ઉકેલવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે જ એક ઘટનાના ભૂત અંગેની અફવાઓની ચર્ચા ક્રાઈમ બ્રાન્ચના કાને પડી ગઈ.
ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જેબલિયાની ટીમને બાતમી મળી કે વટવા કુતુબનગરમાં આવેલા એક મકાનમાં મહિલાનું ભૂત પરિવારને પરેશાન કરી રહ્યું છે. જોકે, આ પરિવારે મકાન ખાલી કરી દીધું છે, પરંતુ તેઓ તાંત્રિક વિધિ કરાવી શાંતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.પોલીસે તરત જ તપાસ શરૂ કરી તો ચોક્કસ પુરાવા નહોતા, પરંતુ એવી માહિતી મળી કે ૧૯૯૨માં આ ઘરમાં શમસુદ્દીન તેના પરિવાર સાથે રહેતો હતો.
પરિણિત શમસુદ્દીનની મિત્રતા શબનમ ઉર્ફે ફરઝાના સાથે થઈ હતી. ૧૯૯૨માં એક દિવસ શબનમ ઉર્ફે ફરઝાના શમસુદ્દીનના ઘરે ગઈ અને મોટો ઝઘડો થયો. શબનમ ઉર્ફે ફરઝાનાનો કાયમી કાંટો કાઢવા માટે તેની હત્યા કરી દેવામાં આવી અને લાશને ખાળકૂવામાં નાખી દેવામાં આવી હતી. વર્ષાે સુધી આ ઘટના એક ભેદ બની રહી.પરંતુ હવે શમસુદ્દીનના પરિવારજનોને રાત્રે શબનમ ઉર્ફે ફરઝાનાનો આભાસ થવા લાગ્યો અને તેઓ ડરી ગયા. શમસુદ્દીનના મોત બાદ તેમણે આ મકાન અન્ય પરિવારને વેચી દીધું, છતાં પણ આ ભય યથાવત્ રહ્યો. શાંતિ મેળવવા માટે તેમણે તાંત્રિક પાસે વિધિ શરૂ કરાવી, જેમાં એવો ખુલાસો થયો કે લગભગ ૩૫ વર્ષ પહેલા કોઈ સ્ત્રીની હત્યા કરીને લાશ છુપાવી દેવામાં આવી હતી.
આ વાત ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચતા જ ડીસીપી અજિત રાજિયાનના આદેશથી ઇન્સ્પેક્ટર જેબલિયાએ તપાસ શરૂ કરી. દિવસો સુધી તપાસ કર્યા બાદ શબનમ ઉર્ફે ફરઝાનાની ઘટના સાચી સાબિત થતાં ક્રાઈમ બ્રાન્ચે જેસીબીની મદદથી આ ઘરમાં ખોદકામ શરૂ કર્યું, જેમાં કેટલાક મહત્ત્વના પુરાવા મળ્યા છે.
હવે એફએસએલના રિપોર્ટ બાદ સમગ્ર સત્ય બહાર આવશે.વટવા હત્યા કેસમાં તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. હત્યા કેમ થઇ અને તેમાં કોની સંડોવણી હતી, તેની વિગતો સામે આવશે. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે.SS1MS

