વડોદરા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી દેશને દિશાદર્શન કરતા જણાવ્યું છે કે,પ્રવર્તમાન સમયમાં વિદેશી મુદ્રા ઉપર ભારણ પડે તેવી પ્રવૃત્તિ ઘટાડવી પડશે. દેશની આર્થિક મજબૂતી માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અપીલ કરતાં વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
વડોદરા ખાતે સરદાર ધામ – ૩ના લોકાર્પણ પ્રસંગે ઉક્ત પરિપ્રેક્ષમાં વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊભી થયેલી અસ્થિર પરિસ્થિતિઓ,જેમાં કોરોના મહામારી,વૈશ્વિક આર્થિક પડકારો તથા પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિઓનો સમગ્ર વિશ્વ પર વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે.
વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે સરકાર સતત પ્રયાસરત છે. આ સંદર્ભે નાગરિકોની સક્રિય જનભાગીદારી અને જવાબદાર અભિગમ સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી સહિતના મહાનુભાવોએ અહી વાઘોડિયા ચોકડી પાસે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. ૧૫૦ કરોડના ખર્ચે બનેલા સરદાર ધામમાં બે હજાર છાત્ર-છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. તેમણે ત્યાં સરદાર સાહેબની પ્રતિમાને વંદન પણ કર્યા હતા.
દેશના સંસાધનો પર પડતા વધારાના ભારણને ઘટાડવા માટે નાગરિકોને ઈંધણના સંયમિત અને કરકસરપૂર્ણ ઉપયોગ માટે અપીલ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે,પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં શક્ય તેટલો ઘટાડો કરવો જોઇએ. મેટ્રો,ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા,કારપૂલિંગને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે વર્ચ્યુઅલ મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને પણ જરૂરી હોય ત્યાં સમયબદ્ધ ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા અંગે વિચારણા કરવા સૂચવ્યું હતું.
દેશની વિદેશી મુદ્રાનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ અને ખાદ્ય તેલની આયાત પાછળ ખર્ચાતો હોવાને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના વપરાશમાં સંયમ રાખવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની શીખ આપતા તેમણે જણાવ્યું કે,સોનાની આયાત પાછળ થતા મોટા ખર્ચને ધ્યાનમાં રાખીને હાલની પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સોનાની ખરીદી ટાળવી જોઇએ. ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા,સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા દેશના ઉદ્યોગકારોને મજબૂત બનાવવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
કૃષિ ક્ષેત્રમાં સ્વદેશી અને ટકાઉ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા,રાસાયણિક ખાતરો ઉપરની નિર્ભરતા ઘટાડવા તેમજ ડીઝલ પંપના સ્થાને સોલાર પંપનો ઉપયોગ વધારવા તેમણે અનુરોધ કર્યો હતો.
દેશની વિદેશી મુદ્રાની બચત અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે દેશની અંદર પ્રવાસનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતની હિમાયત કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે,ઉનાળાની રજાઓ દરમિયાન વિદેશ પ્રવાસને બદલે દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવી જોઇએ, ‘ડેસ્ટિનેશન વેડિંગ’ માટે ભારતના સ્થળોને પ્રાથમિકતા આપવા તથા ગુજરાતના એકતા નગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પર્યટન કેન્દ્રોમાં આવા સમારોહ યોજવા જોઇએ. સાથે જ વિદેશમાં વસતા ભારતીયોને પણ વિદેશી નાગરિકોને ભારતના પર્યટન સ્થળોની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.
વડોદરા ખાતે સરદારધામ–૩નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ પુણ્યપર્વ સમાન છે. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણ ખાતે સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે,ત્યારે સરદાર પટેલના સંકલ્પોથી પ્રેરિત સરદારધામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ થવો વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સના લોકાર્પણ,શિક્ષણ સહાય યોજના અને નવી યોજનાઓના ભૂમિપૂજનને રાષ્ટ્ર નિર્માણના અસરકારક પ્રકલ્પો ગણાવ્યા હતા.
વડાપ્રધાનશ્રીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતાં પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા સંસ્થાનો યુવાનોના ભવિષ્ય માટે ‘લૉન્ચિંગ પેડ’ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રીએ તાજેતરના પશ્ચિમ બંગાળ,આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને પંચાયત ચૂંટણીમાં પ્રાપ્ત સફળતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકોએ હંમેશા રાજકીય સ્થિરતાને પ્રાધાન્ય આપ્યું છે. રાજકીય સ્થિરતા અર્થતંત્રના વિકાસને ગતિ આપે છે અને ગુજરાતે આ દૃષ્ટિ બહુ પહેલાં અપનાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

