ગુજરાત પોલીસ હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે ઃ રાજ્યના પોલીસ વડાનો આદેશ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ગુનેગારોને પાઠ ભણાવવા માટે જાહેરમાં તેમનું સરઘસ કાઢવાની કે કાન પકડાવી માફી મંગાવવાની પોલીસની જૂની પદ્ધતિઓ પર હવે કાયમી બ્રેક લાગી ગઈ છે.
રાજ્યના પોલીસ વડા (ડીજીપી) ડો. કે. એલ. એન. રાવે તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને એક લેખિત પરિપત્ર જારી કરીને આરોપીઓ સાથે માનવીય વ્યવહાર કરવા અને કાયદાની મર્યાદામાં રહેવા કડક સૂચના આપી છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે પોલીસ અધિકારીઓને મીટિંગ ઓનલાઈન લેવા નિર્દેશ કર્યો છે. ડીજીપી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, હવે રાજ્યમાં કોઈપણ આરોપીની ધરપકડ બાદ તેને જાહેરમાં પરેડ કરાવી શકાશે નહીં.
પોલીસની જવાબદારી માત્ર આરોપીને પકડવાની જ નહીં, પરંતુ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે કે તપાસ માટે લઈ જતી વખતે હિંસક ટોળાઓથી સુરક્ષિત રાખવાની પણ રહેશે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આરોપી સાથે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરવાને બદલે તેના આત્મસન્માનનું જતન કરવું અનિવાર્ય છે.
પોલીસ અધિકારીઓ હવે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું કે તેને ફેરવવો, જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણીએ ચલાવવો કે ‘મુર્ગો’ બનાવવો, જાહેરમાં લાત કે લાકડી વડે માર મારવો અને આરોપી પાસે જાહેરમાં હાથ જોડાવવા કે કાન પકડાવી માફી મંગાવવી સહિતની કામગીરી કરી શકશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ના સંદર્ભમાં હાથકડીના ઉપયોગ અંગે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જે મુજબ, ગંભીર ગુના જેવા કે, આતંકવાદ, ડ્રગ્સ, હત્યા, બળાત્કાર અથવા રીઢા ગુનેગારોના કિસ્સામાં જ હાથકડીનો સીધો ઉપયોગ થઈ શકશે. જ્યારે અન્ય તમામ સામાન્ય ગુનાઓના આરોપીઓને હાથકડી પહેરાવવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

