આર્થિક લાભ ખાતર ગુનો કર્યાે હોવાનું કોર્ટનું તારણ
પોલીસે આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુનો નોંધીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી
અમદાવાદ, રખિયાલ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯માં ગેરકાયદે રીતે ગૌવંશના માંસનું વેચાણ કરવાના ચકચારી કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ સમીર રતિલાલ સંગાણીએ આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીને ગુનેગાર ઠરાવીને આઠ-આઠ વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ ત્રણેય આરોપીઓને રૂ. ૨-૨ લાખનો દંડ પણ કર્યાે છે. માંસની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દાેષ છોડી મૂકવામાં આવ્યા છે. કોર્ટે ચુકાદો આપતી વખતે મહત્ત્વની નોંધ લીધી હતી કે, આરોપીઓએ આ કૃત્ય કોઈ ઉશ્કેરણી હેઠળ આવીને નથી કર્યું, પરંતુ માત્ર અને માત્ર આર્થિક લાભ ખાતર જાણીજોઈને પ્રતિબંધિત ગૌમાંસનું વેચાણ કર્યું છે.
કાયદો ગૌવંશના રક્ષણ માટે કડક સજાની માંગ કરે છે, પરંતુ તેની સાથે આરોપીઓની આર્થિક સ્થિતિ અને સુધારણાની તકને પણ સંતુલિત કરવી જરૂરી છે.કેસની ટૂંકી વિગત એવી છે કે, ૪ મે ૨૦૧૯ના રોજ રખિયાલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ડૉ. કાનુભાઈની ચાલીના પ્રવેશદ્વાર પાસે આવેલી એક દુકાનમાં પ્રતિબંધિત માંસનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ઘટનાસ્થળેથી સમીર ઇમામસાહેબ શેખ, ઝફરખાન રઉફખાન પઠાન અને મોહમ્મદઅઝમલ ઉમાનુલહક શેખ રંગેહાથ ઝડપાયા હતા.
દુકાનમાંથી આશરે ૨૫૦ કિલો પ્રતિબંધિત પશુનું માંસ અને માંસ કાપવાનો લોખંડનો મોટો છરો મળી આવ્યો હતો.આ માંસ કયા પશુનું છે તેની ચોક્કસ તપાસ કરવા માટે ના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવાયા હતા. મોબાઈલ વાન ફરજ પરના એફ.એસ.એલ. વૈજ્ઞાનિક સહાયકે ઘટનાસ્થળે પહોંચીને માંસના જુદા-જુદા ભાગોમાંથી છ સેમ્પલ લીધા હતા. અમદાવાદ એફ.એસ.એલ. કચેરી ખાતે કરાયેલા વૈજ્ઞાનિક ‘પ્રિસિપિટિન મેથડ’ પરીક્ષણમાં સાબિત થયું હતું કે આ માંસ ગૌવંશનું જ હતું.
પોલીસે આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુનો નોંધીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં કેસ ચાલવા પર સરકારી વકીલ બી.એસ. પટેલે ધારદાર દલીલો કરી હતી કે આરોપીઓ સામે ગુનો સંપૂર્ણપણે પુરવાર થાય છે. આવા કૃત્યોથી સમાજ પર વિપરીત અસર પડતી હોવાથી સમાજમાં એક દાખલો બેસાડવા માટે આરોપીઓને મહત્તમ સજા કરવામાં આવે.SS1

