અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બનીઃ દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં બુધવારે વહેલી સવારે હત્યાની એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં બે પાકા મિત્રો વચ્ચે ચાલી રહેલી કૌટુંબિક અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાને પોતાના જ ખાસ મિત્ર પર છરી વડે તૂટી પડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ધોળા દિવસે જાહેર મેદાન નજીક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ફૈઝલનગર અને જુહાપુરા વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતો અમન પઠાણ અને દાણીલીમડાના ફૈઝલ નગરમાં રહેતો અરબાઝ મણિયાર ગાઢ મિત્રો હતા.
જો કે, છેલ્લા કેટલાક સમયથી બંનેના પરિવારો વચ્ચે કોઈ અંગત કારણોસર ભારે મનદુઃખ અને અદાવત ચાલી રહી હતી. આજે વહેલી સવારે આ બંને મિત્રો ફૈઝલનગરના મેદાન પાસે ભેગા થયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે પારિવારિક બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ ઉશ્કેરાટ વધતાં મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા અરબાઝે અચાનક પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી અમન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
છરીના ઘા વાગતાં જ અમન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. તેને તડપતો છોડીને આરોપી અરબાઝ મણિયાર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ ગંભીર રીતે ઘવાયેલા અમનને તાત્કાલિક સારવાર અર્થે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જોકે, શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હોવાથી અને ઊંડા ઘા હોવાના કારણે સારવાર કારગત નીવડે તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ લોહિયાળ જંગ અંગે કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતા દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસે મૃતક અમન પઠાણના પરિવારજનોની સત્તાવાર ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ફરાર થઈ ગયેલા હત્યારા અરબાઝ મણિયારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.

