મૌલાના સહિત ચાર ઈસમોનું કારસ્તાનઃ યુવક સારવારમાં મોત
હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો
વેરાવળ,ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી સ્કૂલ પાસે મૌલાના સહિત ચાર લોકોએ તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી મારી હત્યા કરાઇ હતી.તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી અને તેમના ભત્રીજાને આજે બપોરે સોમનાથ ટોકીઝ નજીક ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગોળી વાગતા જાવેદ તાજવાની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા જ્યારે સાથી ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો છે.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાજવાનીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફર કરાયા હતા જ્યાં મોડી રાત્રે જાવેદ તાજવાનીનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, ત્યાંથી એક મોપેડ અને એક બાઈક મળી આવ્યું છે.
ફાયરિંગના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભય તેમજ તણાવનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, આ કોઈ ગેંગવોરની ઘટના નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ચૂંટણી સંબંધે બંને પક્ષો વચ્ચે થયેલી થોડી માથાકૂટ તેમજ અન્ય પારિવારિક અને સાસાજિક કારણો સામે આવ્યા છે. એસપીના જણાવ્યા અનુસાર, આ ફાયરિંગની ઘટનામાં એકથી વધુ આરોપીઓ સંડોવાયેલા છે. પ્રાથમિક રીતે ફારૂક મૌલાના અને તેના અન્ય ત્રણથી ચાર સાથીદારોના નામ શંકાસ્પદ તરીકે સામે આવ્યા છે.

