(એજન્સી)અમદાવાદ, ન્યાય મળવામાં મોડું ભલે થયું, પણ આખરે સત્ય અને ન્યાયની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૦૧ ના એક ભયાનક હાઈવે અકસ્માત મામલે મહત્વનો ચુકાદો આપતા પીડિત પરિવારને મોટું વળતર આપવાનો આદેશ કર્યો છે. ગોંડલની ટ્રિબ્યુનલ કોર્ટે અગાઉ આપેલા વળતરની રકમને હાઈકોર્ટે સીધી બમણી કરતાં પણ વધુ કરી દીધી છે.
અકસ્માત બાદ ભોગ બનનાર વ્યક્તિ સતત ૬ વર્ષ સુધી કોમામાં રહી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. આ કરુણાંતિકા વર્ષ ૨૦૦૧થી શરૂ થઈ હતી. ૧૯ માર્ચ ૨૦૦૧ના રોજ ગોંડલના માર્કેટ યાર્ડમાંથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા ૪૫ વર્ષીય ભગવાનજીભાઈ ભૂતાણી પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર એક પૂરપાટ ઝડપે આવી રહેલા મેટાડોર વાહને તેમને જોરદાર ટક્કર મારી દીધી.
ભગવાનજીભાઈને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી. પહેલા ગોંડલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ, પરંતુ તેઓ ક્યારેય સાજા ન થઈ શક્યા. તેઓ આખી જિંદગી પથારીવશ અને કોમામાં જ રહ્યા અને આખરે ૨ મે ૨૦૦૬ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. ૨૦૦૧માં ભગવાનજીભાઈના પત્ની ચંપાબેન અને પુત્રએ વળતર માટે ક્લેમ પિટિશન દાખલ કરી.
૨૦૧૪ માં ૧૩ વર્ષ પછી ગોંડલ ક્લેમ ટ્રિબ્યુનલે ૫.૧૩ લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું, પરંતુ મૃતકની પણ ૧૦% બેદરકારી ગણીને રકમ કાપી લીધી. પરિવાર આ અપૂરતા વળતર સામે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો.
૨૦૨૬માં હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી થઈ અને જસ્ટિસ નિશા ઠાકોરે પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસને માત્ર ઈજાનો કેસ ન ગણી શકાય, પરંતુ જીવલેણ અકસ્માતનો કેસ ગણવો જોઈએ,
કારણ કે ઈજાના કારણે જ વ્યક્તિનું મોત થયું છે. કોર્ટે ફક્ત પીડા, આઘાત અને વેદનાના હેડ હેઠળ જ ૩ લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું, કારણ કે વ્યક્તિ ૬ વર્ષ સુધી કોઇ હલનચલન કર્યા વગર વેજિટેટિવ હાલતમાં રહ્યો હતો. હાઈકોર્ટે ટ્રિબ્યુનલના વળતરમાં ૬.૯૯ લાખ રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપ્યો છે.

