પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. સોમવારે ઈરાન અને ઈઝરાયેલે એકબીજા પર નવા હુમલા શરૂ કર્યા. આ પછી હવે ભારતે આ વિસ્તારમાં રહેતા નાગરિકોને એલર્ટ કરી દીધા છે. ભારત સરકારે તેના નાગરિકો માટે એક નવી એડવાઈઝરી જારી કરી છે અને ભારતીયોને વહેલી તકે ઈરાનમાંથી બહાર નીકળવાની સલાહ આપી છે. સરકારે ભારતીયોને ઈરાનની યાત્રા ન કરવાની અપીલ પણ કરી છે.
એક એડવાઈઝરીમાં, તેહરાનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવા કહ્યું છે. દૂતાવાસે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, “પ્રદેશમાં તાજેતરની ઘટનાઓ અને બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરીને સંપૂર્ણપણે ટાળવા માટે તેની સલાહનો પુનરોચ્ચાર કર્યો છે. વધુમાં, ભારતીય નાગરિકો જેઓ હાલમાં ઈરાનમાં છે તેમને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ જરૂરી માધ્યમથી તાત્કાલિક દેશ છોડી દે.”
આ પહેલા પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાને લઈને કોઈ સારા સમાચાર આવે તે પહેલા જ ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈરાનના કહેવા પ્રમાણે, તેણે લેબનોન પર ઈઝરાયેલના હુમલાના જવાબમાં આ હુમલો કર્યો છે. ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલના જવાબમાં ઈઝરાયેલે પણ સોમવારે વહેલી સવારે તેહરાન અને અન્ય ઘણા સ્થળો પર હવાઈ હુમલા કર્યા હતા.
ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ ઈસ્ફહાન, કરજ, તાબ્રિઝ અને તેહરાનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. તેહરાનમાં એક સાક્ષીએ જણાવ્યું કે રાજધાનીના પશ્ચિમ ભાગમાં ઓછામાં ઓછા એક મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને તેહરાનના ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડે પણ કહ્યું કે ઈઝરાયેલે સોમવારે સવારના હુમલામાં બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો.

