(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા તાલુકા ના રઢુ માં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા એક મહિલાના બંધ ઘરમાંથી ચોર ઈસમ લોખંડની જાળી તથા દરવાજાના નકૂચા ખોલી, લાકડાના કબાટનું તાળું તોડી આશરે રૂ.૩,૫૫,૦૦૦ ની કિંમતના સાડા ત્રણ તોલા સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ખેડા ના રઢુ માં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા વસંતબેન વિરભદ્રસિંહ વાઘેલા નામના ૭૫ વર્ષીય વિધવા મહિલા ગત તારીખ ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં સોનાના દાગીના લાકડાના કબાટમાં મૂકી, કબાટને તાળું લગાવી નાહવા-ધોવા તેમજ પૂજા પાઠ કરવા ગયા હતા. ત્યારબાદ બપોરે અગિયાર વાગ્યાના સુમારે નજીકમાં આવેલી દુકાને શાકભાજી લેવા માટે ઘરના ઓસરીની લોખંડની જાળીનો નકૂચો બંધ કરીને ગયા હતા.
અડધા કલાક પછી શાકભાજી લઈને ઘરે પરત ફરતા ઘરની ઓસરીની લોખંડની જાળી ખુલ્લી જોવા મળી હતી. ઘરમાં અંદર જઈને જોતાં બેઠક રૂમનો દરવાજો તથા તેની બાજુના રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. રૂમમાં રાખેલા લાકડાના કબાટનું તાળું તૂટેલું હતું અને અંદર મુકેલો સામાન વેરવિખેર હતો.
તપાસ કરતાં કબાટમાં રાખેલા સોનાના કાનમાં પહેરવાની બુટ્ટી (કાપ) પાંદડી ભાતની નંગ-૦૨, સોનાની વીંટી નંગ-૦૨ (જેમાં એક વેઢ વીંટી જોઈન્ટ જોડીયા ભાતની તથા એક વીંટી સાદી ડીઝાઇન વાળી) તેમજ સોનાની હાથમાં પહેરવાની બંગડીઓ ષટકોણ ડીઝાઇન વાળી નંગ-૦૨ મળી આશરે સાડા ત્રણ તોલા વજનના સોનાના દાગીના ગાયબ હતા.
આ ચોરીના બનાવ અંગે મહિલાએ આજુબાજુમાં તથા સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. આખરે તેમની દીકરી ગીતાબા ઘરે આવતા સમગ્ર હકીકત જણાવી હિંમત મળતા, તેમણે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આશરે ?૩,૫૫,૦૦૦ ની કિંમતના સોનાના દાગીના ચોરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

