પૂર્વ ના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવને કારણે ચોમાસામાં સર્જાતી જળબંબાકારની સ્થિતિ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક નાંખવામાં આવ્યું નથી. જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને નિકોલમાં મધુમાલતી ફ્લેટ અને આસપાસના વિસ્તારો, સૂર્યાવાડી, ઓઢવ CMC, BRTS સ્ટેન્ડ પાસે, ભિક્ષુક ગૃહ, આદિનાથનગર પાછળનો ભાગ, વિદ્યાનગર, ઉત્તર ઝોનમાં ભાર્ગવ રોડ, સૈજપુર ગરનાળા, વસ્ત્રાલ રિંગરોડ પછી વસ્ત્રાલ ગામ, વગેરે વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદી પાણી ઓસરતા નથી અને જળબંબાકારની સ્થિતિને કારણે દૂધ, શાકભાજી સહિત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ મળતી ન હોવાને કારણે આ વિસ્તારોના રહીશોની હાલત કફોડી બની જાય છે.
AMC તંત્ર અને શાસકો દ્વારા અમદાવાદ શહેરનું બજેટ રજૂ કરતી વેળા સમતોલ વિકાસના દાવા કરવામાં આવે છે. પરંતુ અમલીકરણમાં પૂર્વ અને પશ્ચિમનો ભેદભાવ જોવા મળે છે. શહેરના પશ્ચિમ પટ્ટાની સરખામણી પૂર્વ પટ્ટામાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ જોવા મળે છે.
જેના કારણે ચોમાસામાં શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ પૂર્વ પટ્ટાના કેટલાંક વિસ્તારોમાં બે- ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને તેના કારણે પૂર્વ પટ્ટાના રહીશોની હાલાત વધુ કફોડી બની જાય છે. દર વર્ષે ચોમાસાની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસામાં પૂર્વ પટ્ટાના રહીશોને વરસાદી પાણી ભરાવાથી ભારે હાલાકી વેઠવાનો વારો આવશે.
ચોમાસામાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે કરોડોના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે. પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ જોવા મળે છે. ખાસ કરીને પૂર્વના પટ્ટામાં મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ હદમાં સમાવેશ કરાયાને 20 વર્ષ થવા છતાં પૂર્વ પટ્ટાના ઘણાં વિસ્તારોમાં હજુ સુધી સિસ્ટેમેટિક ડ્રેનેજ સુવિધાનો પણ અભાવ જોવા મળે છે.
AMC દ્વારા જે વિસ્તારોમાં સિસ્ટેમેટિક ડ્રેનેજ નાંખવામાં આવી છે તેમાં મોટાપાયે ગેરકાયદે ગટર કનેક્શનો કરી દેવામાં આવ્યા હોવાને કારણે ડ્રેનેજની કેપેસિટી કરતાં વધુ સ્યુઅરેજ ઠલવાતું હોવાથી નરોડા, સૈજપુર, સરદારનગર, ઓઢવ, બાપુનગર, ઈન્ડિયા કોલોની, નિકોલ, વસ્ત્રાલ, હાથીજણ, વિંઝોલ, અમરાઈવાડી, વગેરે વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા જોવા મળે છે.
ખાસ કરીને ચોમાસામાં ગટરો બેક મારવાને મારવાને કારણે પૂર્વના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી અને ડ્રેનેજના પાણી ફરી વળે છે અને મોટભાગના વિસ્તારોમાં 4થી 6 કલાક સુધી અને કેટલીક જગ્યાએ બે-ત્રણ દિવસ સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાની નાગરિકો ભારે મુશ્કેલીમાં મૂકાય છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મધુમાલતી, ઓઢવ વિસ્તારમાં અગાઉ ભારે વરસાદ દરમિયાન 2થી 3 દિવસ સુધી પાણી ભરાઈ રહેતું હતું, પરંતુ AMC દ્વારા કરવામાં આવેલા સુધારાઓના કારણે પાણી ભરાવાની અસર આશરે 40 ટકા જેટલી ઘટવાની શક્યતા છે.
આ મોન્સૂનમાં મધુમાલતી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ અગાઉની જેમ લાંબા સમય સુધી પાણી ભરાયેલું નહીં રહે. નજીકના તળાવમાં પાણીના નિકાલમાં આવતી મુશ્કેલી દૂર કરવા માટે પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ થયેલ છે, જેના કારણે તળાવનું વધારાનું પાણી ઝડપથી આગળ મોકલી શકાશે.
આગામી બે વર્ષમાં પૂર્વ વિસ્તારમાં નવી ટ્રંકલાઇન નાખીને વરસાદી પાણીનો નિકાલ દયાવાન તળાવથી ખારી નદી સુધી પહોંચાડવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. AMCની પ્રી-મોન્સૂન કામગીરી મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે અને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

