શહેરમાં વધુ એક ઠગાઈ સામે આવી
ક્યુઆર કોડ સ્કેન કરાવતા ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શનમાં મોટી રકમ ઉપડી ગઈ, એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અમદાવાદ, શહેરમાં સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરદારનગર વિસ્તારમાં ફૂડનો વ્યવસાય કરતા એક વેપારી ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને ઠગાઈનો શિકાર બન્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા શખ્સે મોટી સંખ્યામાં ફૂડ ઓર્ડર આપવાની વાત કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં QR કોડ તથા લિંક મોકલી છેતરપિંડી આચરી તેમના બેંક ખાતામાંથી કુલ ૩.૧૮ લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સરદારનગર વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ નજીક ફૂડનો વ્યવસાય કરતા પ્રફુલભાઈ ગુલાબરાય રાજવાળેને ૮ જૂનના રોજ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ગ્રાહક તરીકે આપી મોટી સંખ્યામાં ફૂડનો ઓર્ડર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વેપાર માટે સારો ઓર્ડર મળવાની આશાએ પ્રફુલભાઈએ તેની સાથે વાતચીત આગળ વધારી હતી. ફોન કરનારે બાદમાં વોટ્સએપ મારફતે એક QR કોડ અને ઓનલાઈન લિંક મોકલી હતી. તેણે ઓર્ડરની એડવાન્સ ચૂકવણી કરવા માટે QR કોડ સ્કેન કરવાની અને કેટલીક સૂચનાઓનું પાલન કરવાની વાત કરી હતી.
વિશ્વાસમાં આવી જતાં વેપારીએ તેના જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી હતી. જોકે, થોડા સમય બાદ તેમના મોબાઇલમાં બેંક ખાતામાંથી રકમ ડેબિટ થયાના મેસેજ આવવા લાગ્યા હતા.પછી પ્રથમ ટ્રાન્ઝેક્શનમાં આશરે ૧.૩૧ લાખ અને ત્યારબાદ બીજા ટ્રાન્ઝેક્શનમાં આશરે ૧.૮૬ લાખ જેટલી રકમ કપાઈ ગઈ હતી. બંને ટ્રાન્ઝેક્શન મળીને કુલ ૩,૧૮,૦૪૩ની રકમ ઠગોએ ઉપાડી લીધી હોવાનું બહાર આવ્યું હતું.
ખાતામાંથી મોટી રકમ ગાયબ થતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ ઘટના અંગે પ્રફુલભાઈએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સાયબર ઠગાઈ અને માહિતી પ્રૌદ્યોગિકી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ફોન નંબર, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.SS1
