(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના પારસ સર્કલ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોકપ્રશ્નો મુદ્દે વ્યાપક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દ્ગઈઈ્ પરીક્ષાની ગેરરીતિઓ, વધતી મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી તેમજ અમૂલ દાણ અને પશુ આહારના ભાવવધારા સામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નડિયાદમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં મહિલા કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ રસ્તા પર ‘મોંઘવારીનો ગરબો’ રમીને સરકારની નીતિઓ સામે પ્રહારો કર્યા હતા.
ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પારસ સર્કલથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી મોંઘવારીની લારી સાથે એક વિશાળ રેલી યોજી હતી. આ રેલીના અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરીને વંદન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસનું મોટું સંખ્યાબળ ઉમટી પડ્યું હતું. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહ, પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ઇન્દ્રજીતસિંહ પરમાર, કોંગ્રેસ અગ્રણી ભારતસિંહ પરમાર, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગોકુલ શાહ તેમજ ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુધાબેન ચૌહાણ સહિતના અનેક વરિષ્ઠ અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
તમામ નેતાઓએ એકસૂરે દ્ગઈઈ્ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય અને પશુપાલકો પર ઝીંકાયેલા અમૂલ દાણના ભાવવધારાને પાછો ખેંચવાની માંગ કરી હતી.

