BCCI બાદ હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાની ચાલી રહેલી અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. એવા અહેવાલો છે કે દક્ષિણ આફ્રિકા સામે 0-2ની શરમજનક હાર બાદ ટેસ્ટ નિવૃત્તિના નિર્ણયને પલટાવવા માટે BCCI કોહલી સાથે વાત કરવાનું વિચારી રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે ભારતના કથળતા પ્રદર્શન બાદ આ અટકળોને વધુ વજન મળ્યું છે. એક સમય એવો હતો જ્યારે ટીમો ભારતમાં ટેસ્ટ મેચમાં ભારતને હરાવવા માટે તડપતી હતી, પરંતુ છેલ્લા 12 મહિનામાં ટીમ ઈન્ડિયાનો બે વખત વ્હાઈટવોશ થયો છે.
દેવજીત સૈકિયાએ હાલમાં જ આજતકને કહ્યું હતું કે, “વિરાટ કોહલી વિશે જે પણ કહેવામાં આવી રહ્યું છે તે માત્ર અફવા છે. કોહલી સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી. અફવાઓને મહત્વ ન આપો. આવું કંઈ થયું નથી.”
વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં એક્શનમાં જોવા મળ્યો હતો. તેણે શ્રેણીની પહેલી જ મેચમાં તેની ODI કારકિર્દીની ઐતિહાસિક સદી ફટકારી હતી. તેણે રાંચી ODIમાં 135 રનની ઇનિંગ રમી જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેવા આવેલા વિરાટ કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં માત્ર એક જ ફોર્મેટમાં જ રમતા જોવા મળશે? તો જવાબમાં તેણે કહ્યું, “હા, તે હંમેશા એવું જ રહેશે. હું આ ગેમનું જ વર્ઝન રમી રહ્યો છું.”

