ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે ઈજાના કારણે બહાર થયા બાદ તે માત્ર સકારાત્મક માનસિકતા સાથે ‘મજબૂત અને વધુ સારી રીતે કમબેક’ કરી શક્યો હતો. રોકસ્ટારનું ઉદાહરણ આપતા તેણે એ પણ જણાવ્યું કે તેની સૌથી મોટી પ્રેરણા શું છે.
એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા આ 32 વર્ષીય ખેલાડીએ ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરી હતી અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 28 બોલમાં અણનમ 59 રનની તોફાની ઈનિંગ રમી હતી અને ત્યારબાદ 16 રનમાં એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતે 101 રનથી મોટી જીત હાંસલ કરી હતી.
હાર્દિકે BCCI ટીવી પર જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું, ‘મારું વિચાર એ હતું કે મારે પહેલા કરતા વધુ મજબૂત અને સારી રીતે વાપસી કરવી જોઈએ. ઇજાઓ તમારી માનસિક કસોટી કરે છે અને ઘણી બધી શંકાઓ પણ પેદા કરે છે. આને દૂર કરવામાં આપણી નજીકના લોકો પણ મોટી ભૂમિકા ભજવે છે.
તેણે કહ્યું, ‘મેં મારી જાતને મજબૂત રાખી જેનાથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો અને મને મારી જાત પર વિશ્વાસ કરવામાં અને મારી ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવામાં મદદ મળી. મને એક ખેલાડી તરીકે મારી જાત પર પૂરો વિશ્વાસ છે. હું હંમેશા માનતો આવ્યો છું કે જો તમે તમારી જાત પર વિશ્વાસ નથી કરતા તો બીજા તમારામાં કેવી રીતે વિશ્વાસ કરશે?
T20 વર્લ્ડ કપમાં ભારતના અભિયાનમાં મહત્વની કડી બનેલા હાર્દિકે કહ્યું કે તે એક એવો વ્યક્તિ છે જે અંદરથી પોતાનો આત્મવિશ્વાસ મેળવે છે અને લોકો શું વિચારે છે તેની પરવા નથી કરતા.

