ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને તેની સતત હળવાશ માટે ‘મી.કુલ’નું બિરૂદ આપવામાં આપવામા આવ્યું હતું.હવે એ બિરૂદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી શકાય તેવી સ્થિતિ છે.
મુખ્યમંત્રીની વિશેષતા એ છે કે તેઓ કાયમ હળવાફૂલ હોય છે અને બાળકની જેમ ખડખડાટ હસી શકે છે.તાજેતરમા પાલનપુરમાં યોજાયેલ એક સરકારી કાર્યક્રમમાં તેઓએ ભરપૂર હળવાશથી હસતા હસતા કહ્યું કે
‘હું હમણાં કુંવરજીભાઇ (બાવળિયા)ને કહેતો હતો કે અહીં આપણી બે સિવાય બધા જુવાન બેઠા છે અને એમાં અધ્યક્ષ શંકર ચૌધરીનો પણ સમાવેશ થઈ જાય છે’ આટલું કહીને ભૂપેન્દ્ર પટેલ મુક્તપણે હસી પડેલા અને મુખ્યમંત્રીના આ વિધાનથી શંકર ચૌધરી પણ મલકાઈ ઊઠ્યા હતા.

ધ્રાંગધ્રાના ભા.જ.પ.ના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો પૂણ્યપ્રકોપ!
ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એક જાહેર પ્રવચનમાં એવું જણાવ્યું હતું કે ‘અમારામાં ચારિત્ર્યહીન, દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા લોકો આવી ગયા છે’

આ પછી ધારાસભ્યે આ વિધાન કરવા બદલ માફી પણ માંગી હતી અને ‘અમારા’નો અર્થ રાજનીતિ કરાવાનો છે ભા.જ.પ. નહીં એવી સ્પષ્ટતા પણ કરી હતી. આવું કેમ થયું હશે? શક્ય છે કે ‘હૈયાની વાત હોઠે’ આવી ગઇ હોય!
વેસ્ટર્ન ટાઈમ્સની ગાંધીનગર ડાયરીની નોંધનો સકારાત્મક પડઘો પડ્યો
અમદાવાદના સંસદ સભ્ય રહી ચૂકેલા તથા અભ્યાસુ અને વિચારક તરીકે પંકાયેલા પુરૂષોત્તમ ગણેશ માવળંકર કહેતા કે ‘સંબંધિતોને વાત પહોંચે છે કે નહીં તેની ચિંતા કર્યા વગર દરેક અખબારે પ્રજા હિતની વાતો લખતાં રહેવી જોઈએ.’
આ સંદર્ભે અમે તા.૧૭/૧૧/૨૫ના ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ના અંકમાં પ્રગટ થયેલ ‘ગાંધીનગર ડાયરી’માં મેટ્રો રેલ સ્ટેશનના બાંધકામને લીધે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાટનગરના મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ રહેવાને કારણે લોકોને પડતી મુશ્કેલી સંબંધે લખ્યું હતું.

