પાકિસ્તાને હાલમાં જ ફાઇનલમાં ભારતને હરાવીને અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટાઈટલ મેચમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ભારતીય અંડર-19 ખેલાડીઓ વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યું છે. પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ આ વાતની પુષ્ટિ કરી છે, જેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના વડા પણ છે. U19 એશિયા કપની ફાઈનલ 21 ડિસેમ્બર રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, આ મેચમાં પાકિસ્તાને 191 રનથી મોટી જીત નોંધાવી હતી.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને આઠ વિકેટના નુકસાન પર 347 રનનો મોટો સ્કોર કર્યો હતો. સમીર મિન્હાસે ઐતિહાસિક ઇનિંગ રમી અને સદી ફટકારી. આ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ 26.2 ઓવરમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન માટે આ જીત ખાસ હતી કારણ કે તે 13 વર્ષમાં તેનું પ્રથમ અંડર-19 એશિયા કપ ટાઇટલ હતું અને ઇતિહાસમાં માત્ર બીજી વખત તેણે ટૂર્નામેન્ટ જીતી છે.

