ગૌતમ ગંભીર ટેસ્ટ કોચ રહેશે કે નહીં તેની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIએ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ માટે VVS લક્ષ્મણનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, BCCIએ આવી અટકળોને અફવા ગણાવીને ફગાવી દીધી છે. દરમિયાન, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે કહ્યું છે કે ગૌતમ ગંભીરે રણજી ટ્રોફીમાં કોચિંગ લેવું જોઈએ જેથી કરીને તે રેડ-બોલ ટીમને યોગ્ય રીતે સંચાલિત કરવાની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે. જોકે, એ સમજવું મુશ્કેલ છે કે પનેસરે આ સૂચન આપ્યું છે કે પછી ગંભીરની મજાક ઉડાવી રહી છે.
એએનઆઈ સાથે વાત કરતા પાનેસરે કહ્યું કે ગંભીરે પોતાને સફેદ બોલનો મજબૂત કોચ સાબિત કર્યો છે. તેણે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે ભારતીય ટીમને માર્ગદર્શન આપ્યું હતું. સપ્ટેમ્બરમાં ટી20 એશિયા કપ જીતવામાં ભૂમિકા ભજવી હતી. જોકે, પાનેસરે ટેસ્ટ ક્રિકેટમાં કોચ તરીકે ગંભીરની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે તેણે રણજી ટ્રોફી ક્રિકેટમાં કોચની ભૂમિકા નિભાવવી જોઈતી હતી અને એક સફળ રેડ-બોલ ટીમનું નિર્માણ અને સંચાલન કેવી રીતે કરવું તે શીખવા માટે સ્થાનિક કોચ સાથે વાતચીત કરવી જોઈતી હતી.
મોન્ટી પાનેસરે કહ્યું, ‘વ્હાઈટ બોલ ક્રિકેટમાં ગૌતમ ગંભીર એક સારો કોચ છે કારણ કે તે સફળ રહ્યો છે. તે રણજી ટ્રોફી કોચ બની શક્યો હોત. તેણે એવા કોચ સાથે વાત કરવી જોઈએ જેમણે રણજી ટ્રોફીમાં કોચિંગ આપ્યું છે અને તેમની પાસેથી સમજવું જોઈએ કે રેડ બોલ ક્રિકેટમાં ટીમ કેવી રીતે તૈયાર થાય છે. અત્યારે ભારતીય ટીમ ટેસ્ટમાં નબળી છે. આ વાસ્તવિકતા છે. આ એક મજબૂત ટીમ નથી. તે સમય લેશે. જ્યારે તમે ત્રણ મોટા ખેલાડીઓને નિવૃત્ત કરો છો, ત્યારે બાકીના ખેલાડીઓને તૈયાર કરવા મુશ્કેલ બની જાય છે.
ગયા સપ્તાહની શરૂઆતમાં, સમાચાર એજન્સી પીટીઆઈએ તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા દ્વારા 2-0થી ઘરઆંગણે હાર્યા બાદ BCCIએ ટેસ્ટમાં કોચની ભૂમિકા માટે VVS લક્ષ્મણનો ‘અનૌપચારિક સંપર્ક’ કર્યો હતો. ગયા વર્ષે જૂનમાં રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયો ત્યારે બોર્ડે એક વખત કોચની ભૂમિકા માટે લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો. જો કે, લક્ષ્મણે બંને વખત બોર્ડની ઓફરને એમ કહીને નકારી કાઢી હતી કે તેઓ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીના સેન્ટર ઓફ એક્સેલન્સના વડા તરીકેની તેમની વર્તમાન ભૂમિકામાં ખુશ છે.

