બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથેના કરારને સમાપ્ત કરવામાં કોઈ ભૂમિકા ન હોવા છતાં કોઈ નાણાકીય વળતર મળવાની શક્યતા નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિર્દેશ પર KKRએ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ સાથે કઠિન બિડિંગ પ્રક્રિયા બાદ KKRએ IPL ઓક્શનમાં મુસ્તાફિઝુરને રૂ. 9.20 કરોડમાં ખરીદ્યો હતો. બીસીસીઆઈએ તેના નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું અને માત્ર એટલું જ કહ્યું હતું કે ‘ચારે બાજુ બનતી ઘટનાઓ’ને કારણે તે જરૂરી બની ગયું છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ આ અંગે કડક વલણ અપનાવતા ભારતમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવાની માંગ કરી છે.
બીસીસીઆઈના આ પગલાથી ખેલાડીના અધિકારો પર ચર્ચા જગાવી છે, ખાસ કરીને કારણ કે તેણે ન તો સ્વૈચ્છિક રીતે સ્પર્ધામાંથી પીછેહઠ કરી છે અને ન તો તેના પર કોઈ ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે વર્તમાન વીમા માળખામાં વળતર માટે બહુ ઓછો અવકાશ છે.

