દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ઉત્તર કોરિયાના પરમાણુ સંકટને ઉકેલવા અને બંને કોરિયા વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને ઘટાડવા માટે શાંતિ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવા ચીનને વિનંતી કરી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગે બુધવારે કહ્યું કે તેમણે ઉત્તર કોરિયાના પરમાણુ સંકટને ઉકેલવા અને બંને કોરિયાઓ વચ્ચે દુશ્મનાવટ ઘટાડવામાં મદદ કરવા માટે મધ્યસ્થી કરવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિનંતી કરી છે. મ્યોંગે કહ્યું કે તેણે આ સપ્તાહની શરૂઆતમાં બેઇજિંગમાં બે નેતાઓની સમિટ દરમિયાન વિનંતી કરી હતી.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ઉત્તર કોરિયા સાથેના અમારા તમામ સંચાર ચેનલો સંપૂર્ણપણે બંધ છે, તેથી અમે બિલકુલ વાતચીત કરી શકતા નથી. મેં તેમને કહ્યું કે શાંતિ માટે ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવે તે સારું રહેશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમારા પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે ધીરજ રાખવાની જરૂર છે.
ચીન ઉત્તર કોરિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર અને મુખ્ય રાજદ્વારી સમર્થક છે. દક્ષિણ કોરિયા અને યુએસએ વારંવાર ચીનને વિનંતી કરી છે કે તેઓ ઉત્તર કોરિયાને લાંબા સમયથી અટકેલી મુત્સદ્દીગીરી ફરીથી શરૂ કરવા અથવા પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરે. ચીને ઉત્તર કોરિયા સંબંધિત મુદ્દાઓમાં સામેલ તમામ પક્ષોને સંયમ રાખવાની હાકલ કરી છે. યુએનના ઠરાવો હેઠળ શસ્ત્રોના પરીક્ષણો પર પ્રતિબંધ હોવા છતાં તેણે તાજેતરના વર્ષોમાં ઉત્તર કોરિયા પર પ્રતિબંધો કડક કરવાના યુએસ અને અન્ય દેશોના પ્રયાસોને અવરોધિત કર્યા છે.
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે અને તેના નેતા કિમ જોંગ ઉનની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ઉચ્ચ સ્તરીય પરમાણુ મુત્સદ્દીગીરી 2019 માં નિષ્ફળ થઈ ત્યારથી તેના પરમાણુ શસ્ત્રાગારને વિસ્તૃત કરવા માટે પગલાં લીધાં છે.

