ઈરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તાએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા ચેતવણી આપી હતી. ટ્રમ્પે ખામેનીના લગભગ 40 વર્ષના શાસનનો અંત લાવવાની હાકલ કર્યાના દિવસો બાદ આ ચેતવણી આવી છે.
જનરલ અબુલ ફઝલ શેખરચીએ કહ્યું કે, ‘ટ્રમ્પ જાણે છે કે જો અમારા નેતા તરફ કોઈ હાથ લંબાવશે તો અમે માત્ર તે હાથ જ નહીં કાપી નાખીશું પરંતુ તેની દુનિયામાં આગ પણ લગાવી દઈશું.’
શનિવારે ‘પોલિટિકો’ સાથેના એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ખમેનીને ‘એક બીમાર વ્યક્તિ’ ગણાવ્યા અને કહ્યું કે ‘તેમણે પોતાનો દેશ યોગ્ય રીતે ચલાવવો જોઈએ અને લોકોને મારવાનું બંધ કરવું જોઈએ’. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં નવું નેતૃત્વ શોધવાનો સમય આવી ગયો છે.
ટ્રમ્પની આ ટિપ્પણીઓ બાદ જનરલ અબુલ ફઝલ શેકરચીએ આ ચેતવણી આપી હતી. ઈરાનની નબળી અર્થવ્યવસ્થાને લઈને 28 ડિસેમ્બરે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો સામે સત્તાવાળાઓએ હિંસક પગલાં લીધા ત્યારથી યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
રાષ્ટ્રપતિએ પણ ચેતવણી આપી હતી
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરમાં કહ્યું હતું કે, ‘જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો તેનું કારણ યુએસ સરકાર અને તેના સહયોગીઓ દ્વારા લાદવામાં આવેલા લાંબા સમયથી ચાલતી દુશ્મનાવટ અને અમાનવીય પ્રતિબંધો છે. આપણા દેશના સર્વોચ્ચ નેતા સામેનો કોઈપણ હુમલો ઈરાન સામે સંપૂર્ણ પાયે યુદ્ધ સમાન હશે.

