નવી દિલ્હી: મધ્ય પૂર્વ વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ ઈરાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇઝરાયલી સૈન્ય દળોએ ચેતવણી આપી છે કે તે ઈરાનના દિવંગત નેતા આયાતુલ્લા અલી ખામેનીના કોઈપણ અનુગામીનો પીછો કરવાનું ચાલુ રાખશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફારસી ભાષામાં પોસ્ટ કરતી વખતે ઈઝરાયેલી સેનાએ આ ચેતવણી આપી છે. ઈઝરાયેલ ખામેનીના ઉત્તરાધિકારીની પસંદગી અથવા નિમણૂકની પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને પણ નિશાન બનાવશે, એમ પોસ્ટમાં જણાવાયું છે.
ઇઝરાયેલી સૈન્ય દ્વારા ખામેનીને તટસ્થ કર્યા પછી ઈરાનનું શાસન પોતાને પુનઃસંગઠિત કરવા અને નવા નેતાની પસંદગી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ઇઝરાયેલનો હાથ દરેક અનુગામી અને નવા નેતાની નિમણૂક કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ સુધી પહોંચશે.
ઈઝરાયેલે ચેતવણી પણ આપી હતી કે ઉત્તરાધિકારી પસંદ કરવા માટે બેઠકમાં ભાગ લેવાનું આયોજન કરનારાઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે એવા તમામ લોકોને સાવચેત કરીએ છીએ જેઓ અનુગામીની પસંદગીની બેઠકમાં ભાગ લેવા માગે છે.” ઈઝરાયેલ આ તમામ લોકોને નિશાન બનાવવામાં પાછળ નહીં હટે.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાનની એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ ટૂંક સમયમાં કોમ શહેરમાં મળવા જઈ રહી છે. આ સંસ્થાને ઈરાનના સર્વોચ્ચ નેતાની પસંદગી માટે જવાબદાર ગણવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠન ઘણા સમયથી મીટિંગ નથી કરી પરંતુ હવે નવા નેતાની પસંદગી માટે મીટિંગ બોલાવવાની તૈયારી ચાલી રહી છે.
દરમિયાન, ઈરાનના ઓઈલ સ્ટોરેજ ફેસિલિટી પર થયેલા હુમલામાં ચાર ટેન્કર ડ્રાઈવરો માર્યા ગયા છે. આ જાણકારી ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે આપી છે. અહેવાલ મુજબ, ઇઝરાયેલના હુમલામાં તેહરાન અને અલ્બોર્ઝ પ્રાંતમાં સ્થિત ચાર તેલ સંગ્રહ કેન્દ્રો અને તેલ ટ્રાન્સફર સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા.

