ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા! પેરોલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવા માટે હવે એક વેદનશીલ અને નવી જ મોડસ ઓપરેન્ડી અજમાવી છે, જેને જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. જેલમાં બંધ કેદીઓના પરિવારોની લાચારી અને અપેક્ષાઓનો ફાયદો ઉઠાવીને આ ગઠિયાઓ નાણાં પડાવી રહ્યા છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક કેદીના પેરોલ મંજૂર થઈ ગયા હોવાનું કહીને માધવપુરાના એક સામાન્ય પરિવાર પાસેથી ઓનલાઈન ૪૫,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માધવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કેસના આરોપીના પેરોલ મંજૂર કરાવવાના નામે ખેલ ખેલાયો
મળતી માહિતી અનુસાર, માધવપુરામાં ઇદગાહ સર્કલ પાસે આવેલી ટેકરાવાળી ચાલીમાં સુરેશ પટણી પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પિતરાઈ ભાઈ અનિલ અને રાહુલ નિકોલ વિસ્તારમાં થયેલા એક હત્યાના ગુનામાં પકડાયા હતા.
આ કેસમાં રાહુલને જામીન મળી ગયા હતા, જ્યારે અનિલ હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. પરિવારે અનિલને જેલમાંથી બહાર લાવવા માટે પેરોલ (રજા) માટે અરજી કરી હતી. સાયબર ઠગોએ પરિવારની આ જ સ્થિતિનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.
થોડા દિવસો પહેલાં સુરેશભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર હિન્દીભાષી શખસે પોતે સાબરમતી જેલનો અધિકારી બોલતો હોવાની ખોટી ઓળખ આપી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ઠગે સુરેશભાઈને જણાવ્યું કે, ‘અનિલના ૧૫ દિવસના પેરોલ મંજૂર થઈ ગયા છે, અને કોર્ટની કાગળિયાની પ્રક્રિયા માટે તાત્કાલિક ૧૫,૦૦૦ રૂપિયા ઓનલાઈન જમા કરાવવા પડશે.’
જ્યારે સુરેશભાઈએ જેલ પર રૂબરૂ આવીને રોકડા પૈસા આપવાની વાત કરી, ત્યારે સાયબર ગઠિયાએ ડર બતાવ્યો કે, ‘જો અત્યારે ને અત્યારે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર નહીં કરો તો પેરોલ ઓર્ડર કેન્સલ થઈ જશે અને અનિલ બહાર આવી શકશે નહીં.’
ભાઈ જેલમાંથી બહાર આવી જશે તે આશા અને પેરોલ રદ થવાના ડરથી સુરેશભાઈ અને તેમના ફોઈના દીકરા અજયે ગઠિયાના કહેવા મુજબ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી કટકે-કટકે કુલ ૪૫,૦૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. પરિવાર પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ પણ ગઠિયાની લાલચ વધી હતી.

