એક વીઘામાંથી રૂ.દોઢ લાખની કમાણી કરી
અમરેલી, અમરેલી જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની પદ્ધતિ છોડી ‘વેલ્યુ એડિશન’ તરફ વળી રહ્યા છે. જેનાથી ખેતી પાકમાં ફાયદો થાય છે. સાવરકુંડલાના પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ ગાજીપરાએ શેરડીનું વાવેતર કર્યુ હોય, પરંતુ તેમને હોલસેલ માર્કેટમાં વેચવાથી યોગ્ય વળતર મળતું નથી,
ત્યારે તેમણે પોતે જ શેરડીના ચિચોડો ઉભો કરી શેરડીનો રસ કાઢી ગ્રાહકોને સીધું વેચાણ કરવાનું શરૂ કર્યું છે. તેઓ આજે ૧૦ રૂપિયામાં એક ગ્લાસ રસ ગ્રાહકને વેચીને માત્ર એક જ વીઘામાંથી રૂપિયા સવાથી દોઢ લાખની કમાણી કરી રહ્યા છે.
મનસુખભાઈ ગાજીપરાએ માત્ર ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં ખેતીમાં નવનીતા લાવી સફળતા મેળવી છે. તેઓ કુલ ૧પ વીઘા જમીનમાં વિવિધ પાકનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી ર વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કરે છે. શરૂઆતમાં તેઓ શેરડીનું હોલસેલ ભાવે વેચાણ કરતા હતા, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા તેમને નુકસાન સહન કરવું પડતું હતું.
આથી તેમણે મૂલ્યવર્ધન તરફ વળવાનું નક્કી કર્યું. શેરડીના ચિચોડો (રસ કાઢવાની મશીન) ખરીદી અને શેરડીમાંથી તાજો રસ બનાવી તેનું સીધું વેચાણ શરૂ કર્યું. આ નવી પહેલથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. એક ગ્લાસ શેરડીનો રસ તેઓ ૧૦માં વેચે છે, જેમાં અંદાજે ૩ રૂપિયા સુધીનો નફો મળે છે.
એક વીઘા જમીનમાંથી તેમને અંદાજિત રૂ.૧,૩૦,૦૦૦ થી ૧,૪૦,૦૦૦ સુધીની આવક મળી રહી છે, જે અગાઉના હોલસેલ વેચાણ કરતાં ઘણી વધુ છે. મનસુખભાઈનું માનવું છે કે, જો ખેડૂત પોતાનો પાક સીધો ગ્રાહકો સુધી પહોંચાડે તો તેમાં મૂલ્યવર્ધન તરફ વળે તો વધુ નફો મેળવી શકે છે. કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકો અને મૂલ્યવર્ધન અપનાવીને ખેડૂત પોતાની આવક બમણી કરી શકે તો સાથે સાથે આત્મનિર્ભર બની શકે છે.

