ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા ‘સહજાનંદ ટાવર’માં આજે (૨૨મી મે) એક બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગના પગલે સમગ્ર ફ્લેટ અને આજુબાજુના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી અનુસાર, જીવરાજ પાર્ક ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા સહજાનંદ ટાવરના એક બંધ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.
આગ એટલી ભીષણ હતી કે ફ્લેટની અંદર રાખેલો કિંમતી સામાન, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને તમામ ઘરવખરી બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઇટરની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ બિલ્ડિંગમાં રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર વિભાગે આગ પર પૂરેપૂરો કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમે સમયસર કામગીરી કરતાં આગ અન્ય ફ્લેટ કે આખી બિલ્ડિંગમાં ફેલાતી અટકી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી.
આ અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે જે સમયે મકાનમાં આગ લાગી, ત્યારે ઘરની અંદર કોઈ હાજર નહોતું અને મકાન સંપૂર્ણપણે બંધ હતું. જેના કારણે આટલી મોટી અને ભીષણ આગ લાગવા છતાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ નાગરિકને ઈજા થવાના સમાચાર નથી. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા શોર્ટ સર્કિટના કારણની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

