અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ચરમસીમા પર હતો અને એવું લાગી રહ્યું હતું કે કોઈપણ ક્ષણે યુદ્ધ ફાટી નીકળશે. જો કે આ તણાવ ઓછો થતો જણાય છે. તુર્કીની મધ્યસ્થતાની ઓફર બાદ ઈરાનના રાષ્ટ્રપતિએ મંગળવારે અમેરિકા સાથે વાતચીત માટે લીલી ઝંડી આપી દીધી હતી. તેમણે વિદેશ મંત્રીને અમેરિકા સાથે ‘તર્કસંગત અને ન્યાયપૂર્ણ’ વાતચીત કરવા સૂચના આપી છે. તેહરાન તરફથી આ સૌથી સ્પષ્ટ સંકેત છે કે તે વોશિંગ્ટન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવા માંગે છે.
આ જાહેરાતને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના વલણમાં મોટો ફેરફાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે ઈરાનના લોકોને ચેતવણી આપી રહ્યા હતા કે દેશની સ્થિતિ તેમના નિયંત્રણમાંથી બહાર થઈ ગઈ છે. નિવેદન એ પણ સંકેત આપે છે કે તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની તરફથી યુએસ સાથે વાતચીત માટે સમર્થન મળ્યું છે, જેમણે અગાઉ આવી કોઈપણ વાતચીતને નકારી હતી.
જો કે, તે અસ્પષ્ટ છે કે શું ઈરાન અને યુએસ સમજૂતી પર પહોંચી શકશે કે કેમ, ખાસ કરીને કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ વાટાઘાટ પ્રક્રિયામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને તેમની મુખ્ય માંગણીઓમાંની એક બનાવી છે. ટ્રમ્પે જૂનમાં ઈઝરાયેલ દ્વારા શરૂ કરાયેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરવાનો આદેશ આપ્યો હતો.
પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંગ્રેજી અને ફારસી ભાષામાં લખ્યું, તેમણે કહ્યું, “મેં મારા વિદેશ મંત્રીને ગૌરવ, સમજદારી અને દૂરદર્શિતાના સિદ્ધાંતો અનુસાર તર્કસંગત અને ન્યાયપૂર્ણ સંવાદ કરવા માટે નિર્દેશ આપ્યો છે, જો ત્યાં યોગ્ય વાતાવરણ હોય, એટલે કે ધમકીઓ અને ગેરવાજબી અપેક્ષાઓથી મુક્ત વાતાવરણ હોય.”

