બાળકના શૈક્ષણિક પરિણામ સાથે તેના શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસનું પણ મૂલ્યાંકન થશે.
નવા માળખામાં વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતા સાથે તેની વિચારશક્તિ, પ્રેઝન્ટેશન સ્કિલ, સર્જનાત્મકતા, સમૂહમાં કામ કરવાની ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની આવડત જેવા પાસાઓને પણ મહત્વ આપવામાં આવશે.
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શિક્ષણ વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળશે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને રાજ્ય શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ‘સ્ટેટ કરીક્્યુલમ ફ્રેમવર્ક’ જાહેર કરશે, જેના આધારે રાજ્યની શાળાઓમાં શિક્ષણ અને મૂલ્યાંકનની નવી પદ્ધતિ અમલમાં આવશે.
નવી વ્યવસ્થામાં ધોરણ ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત ‘પાસ-નાપાસ’ પદ્ધતિને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે એચપીસી કાર્ડ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને એક પાનાનું પરિણામપત્રક આપવામાં આવતું હતું, જ્યારે હવે ૧૫થી ૨૦ પાનાનું વિસ્તૃત મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં આવશે. આ કાર્ડમાં માત્ર માર્ક્સ નહીં પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ નવા માળખામાં વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતા સાથે તેની વિચારશક્તિ, પ્રેઝન્ટેશન સ્કિલ, સર્જનાત્મકતા, સમૂહમાં કામ કરવાની ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની આવડત જેવા પાસાઓને પણ મહત્વ આપવામાં આવશે.
મૂલ્યાંકન હવે માત્ર લેખિત પરીક્ષાઓ પૂરતું મર્યાદિત નહીં રહે. તેના બદલે પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન, સમૂહ ચર્ચા, પ્રયોગો અને પોર્ટફોલિયો આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવશે.
નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીઓનું ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ મૂલ્યાંકનમાં માત્ર શિક્ષક નહીં પરંતુ વિદ્યાર્થી પોતે, તેના સહપાઠી મિત્રો અને વાલીઓના પ્રતિસાદનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે કે બાળકના શૈક્ષણિક પરિણામ સાથે તેના શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસનું પણ મૂલ્યાંકન થશે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના નવા માળખાને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. નર્સરીથી ધોરણ ૨ સુધી રમત-ગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. ધોરણ ૩થી ૫ દરમિયાન ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયને શોધખોળ અને રમતો દ્વારા શીખવવામાં આવશે. ધોરણ ૬થી ૮માં વ્યવસાયલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે ધોરણ ૯થી ૧૨માં વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે.

