મેટ્રો સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ,સીસીટીવી કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અંગે બારીકાઈથી અવલોકન કર્યું
નાગરિકોને મેટ્રો સહિત જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરતા રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ
ગાંધીનગર, રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે બુધવારે રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રીના ‘ઈંધણ બચાવો‘અભિયાનને પ્રોત્સાહન આપવાનો અને મેટ્રો સ્ટેશનની સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો.
રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી દ્વારા દેશમાં ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલા આહવાનને ધ્યાનમાં રાખીને ઓફિસ કર્મચારીઓ,વિદ્યાર્થીઓ,વેપારીઓ અને પ્રવાસીઓને પોતાના વાહનોના બદલે વધુમાં વધુ મેટ્રો ટ્રેન સહિતની જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો જોઈએ.
રાજ્ય પોલીસ વડાએ સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ,સીસીટીવી કેમેરાનું નેટવર્ક,મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનું બારીકાઈથી અવલોકન કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારે વાર્ષિક મુસાફરોની સંખ્યા અંદાજે ૨.૫ કરોડ જેટલી હતી,જે આ વર્ષે વધીને લગભગ5કરોડ સુધી પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે અમદાવાદ ગાંધીનગરના નાગરિકો માટે મેટ્રો હવે મુસાફરીનું મનપસંદ માધ્યમ બની છે.
મુસાફરી દરમિયાન ડો. રાવે મુસાફરો સાથે વાતચીત કરી મેટ્રોની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત મહિલા મુસાફરોની સુરક્ષા અથવા મોડી રાત્રે મુસાફરી દરમિયાન જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય,તો તે બાબત તાત્કાલિક પોલીસના ધ્યાને લાવવા તેમણે જણાવ્યું છે.

