દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવા કે નહીં? આ પ્રશ્નને લઈને દર વર્ષે ચર્ચા થાય છે. કેટલાક લોકો ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે, પરંતુ ઘણી જગ્યાએ તેનું ખુલ્લેઆમ વેચાણ અને ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ આ વર્ષે દિવાળી પર ગ્રીન ફટાકડા ફોડવામાં આવશે. આ બધાની વચ્ચે સિક્કિમના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શનિવારે રાજ્યના લોકોને 11 વર્ષ જૂના પ્રતિબંધની યાદ અપાવી અને દિવાળી પર ફટાકડા ન ફોડવાની વિનંતી કરી.
એસપીસીબીએ લોકોને રાજ્યને સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણ મુક્ત રાખવા વિનંતી કરી. આ ઉપરાંત તહેવારોમાં કચરો ફેલાતો અટકાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા પણ તેમણે તાકીદ કરી હતી.
SPCBએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “અમે રાજ્યના તમામ રહેવાસીઓને ફટાકડાને બદલે રોશની સાથે આ તહેવાર ઉજવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તે પર્યાવરણને અનુકૂળ રહે. આ તહેવારોની સિઝનમાં આપણે આપણા સમુદાય અને પર્યાવરણની સુખાકારીને પ્રાથમિકતા આપીએ.”
એસપીસીબીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 11 વર્ષ પહેલા તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને સળગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આપણે યાદ રાખવું પડશે કે ફટાકડા ફોડવાથી હાનિકારક પ્રદૂષકો બહાર આવે છે. આનાથી ઘણા સ્વાસ્થ્ય જોખમો છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે. આ ફટાકડાઓથી થતા ધ્વનિ પ્રદૂષણ પણ જાહેર જનતાના એકંદર આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.”

