અમદાવાદ બલોલનગર બ્રિજ પરથી નીચે પટકાતા ખોપરી ફાટી જતાં બાઈક ચાલકનું મોત
(એજન્સી)અમદાવાદ અમદાવાદના રાણીપ અને ન્યુ રાણીપને જોડતા બલોલનગર બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા એક બાઈક સવારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, યુવક બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો, જ્યારે તેનું સ્પોટ્ર્સ બાઈક અકસ્માત સ્થળથી ૨૦ થી ૨૫ મીટર દૂર જઈને બ્રિજ પર જ પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બાઈકની ગતિ ખૂબ જ વધારે હતી. બ્રિજની સાઈડમાં લગાવેલું લોખંડનું પતરું તોડીને યુવક નીચે ફેંકાયો હતો. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
જોકે, ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, બલોલનગર પાસેના આ જ સ્થળે થોડા દિવસો પહેલા પણ આવો જ એક અકસ્માત સર્જાયો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને બ્રિજ પર સ્પીડ બ્રેકર કે યોગ્ય સુરક્ષા રેલિંગની માંગ ઉઠી છે.
હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સતત વધી રહેલા જીવલેણ અકસ્માતો છતાં વહીવટી તંત્રની ઘોર નિદ્રા સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
લોકો લાંબા સમયથી બ્રિજની બંને બાજુ ઊંચી રેલિંગ અને ડાયવર્ઝન માટેના ચેતવણી બોર્ડ લગાવવાની માગ કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા સુધારવા મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત જાણ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી.

