અમદાવાદ (પ્રતિનિધિ), ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ૧૦૪માં સ્થાપના દિવસે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રેડ ક્રોસના શતાબ્દી ભવનની મુલાકાત લીધી અને અમદાવાદ રેડ ક્રોસની ટીમના વિવિધ માનવતાવાદી કાર્યોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી.
ખાસ કરીને બ્લડ કલેકશન અને ટ્રાન્સફ્યુઝન સેવાઓ માટે મળેલા રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત માન્યતાનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન કમિશનરે સંસ્થાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને શહેરના આરોગ્ય તથા આપાતકાલીન સેવા વ્યવસ્થામાં સંસ્થાએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની સરાહના કરી.
તેમણે ખાસ કરીને બ્લડ ડોનેશન સેવાઓના જીવનદાતા પ્રભાવને ઉજાગર કરતાં જણાવ્યું કે, રેડ ક્રોસ હજારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનો આધાર બની રહી છે. તેમણે ઉમેર્યું કે અમદાવાદને “ભારતની બ્લડ ડોનેશન કેપિટલ” અને “સેન્ટ્યુરિયન બ્લડ ડોનર્સનું વૈશ્વિક કેન્દ્ર” તરીકે ઓળખ મેળવવામાં ગર્વ છે.
ચેરમેન એમેરિટસ અને સેન્ટ્યુરિયન બ્લડ ડોનર્સ ક્લબના સ્થાપક મુકેશ પટેલ, વાઇસ ચેરમેન ડૉ. કલ્યાણી ત્રિવેદી, જનરલ સેક્રેટરી ડૉ. વિશ્વાસ અમીન તથા ઓફિસ બેરર્સ અને સિનિયર સ્ટાફ સભ્યો દ્વારા કમિશનરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમિશનરે જણાવ્યું હતું કે, રેડ ક્રોસ કેન્દ્રની મુલાકાતે તેમને “સેવાની જીવંત ભાવના અને જરૂરિયાતમંદોને જીવન આપવાની સાચી ભાવનાનો અનુભવ થયો છે.”

