નવી દિલ્હી, ભારતીય રેલવે દ્વારા મંગળવારે કનેક્ટિવિટી વધારવા, ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાના હેતુથી ગુજરાત અને બિહારમાં કુલ રૂ. ૬૪૭.૫૮ કરોડના બે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સમાં ગુજરાતના કોસંબા ખાતે ‘રેલ ઓવર રેલ’ (RoR) ફ્લાયઓવર અને બિહારના ભાગલપુરમાં નવા રેલ બાયપાસનું નિર્માણ સામેલ છે.
ગુજરાતમાં પશ્ચિમ રેલવે હેઠળ આવતા ૯.૨૦ કિમી લાંબા કોસંબા-ઉમરપાડા ગેજ કન્વર્ઝન સેક્શનને સીધી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રૂ. ૩૪૪.૩૮ કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. આ સેક્શન મુંબઈ-વડોદરા મેઈન લાઈન પર આવેલું છે અને હાલમાં ત્યાં ગેજ પરિવર્તનની કામગીરી ચાલી રહી છે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, “ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) ની એલાઈનમેન્ટ હોવાને કારણે, ગેજ રૂપાંતરિત લાઈનને સપાટી પરથી ક્રોસિંગ આપીને મેઈન લાઈન સાથે સીધી જોડવી શક્ય નથી.” આથી, ‘રેલ ઓવર રેલ’ ફ્લાયઓવર બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટના ફાયદા:
બીજી તરફ, બિહારમાં પૂર્વીય રેલવે હેઠળ ભાગલપુરમાં ૧૩.૩૮ કિમી લાંબા બાયપાસ માટે રૂ. ૩૦૩.૨૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ ભાગલપુર જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ કરશે, જ્યાં હાલમાં ક્ષમતા કરતા ૧૨૫ ટકા વધુ ટ્રેનો ચાલે છે. આ બાયપાસથી એન્જિન રિવર્સલની જરૂરિયાત દૂર થશે, જેનાથી સમયની બચત થશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સ રેલવે નેટવર્કની ક્ષમતા વધારવા અને વધતી જતી મુસાફરો તથા માલસામાનની માંગને પહોંચી વળવા માટેના વ્યાપક આયોજનનો એક ભાગ છે.

