અમદાવાદમાં કોર્પોરેશનને આડેધડ ખર્ચો કરી ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનાવી દીધા
મ્યુનિ. સત્તાધીશોએ પૂર્વ પટ્ટાના નવા વિસ્તારોમાં વિકાસને ધ્યાને લીધો જ નહીંઃ હવે ભૂલ સુધારાઈ
વિંઝોલમાં ૭૦ અને ૩પ MLDના બે પ્લાન્ટમાં ગટરના પાણીની આવક વધવા માંડી હતી અને ગંદા પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.માં અનભુવી ઈજનેરો હોવા છતાં સત્તાધીશોએ દીર્ઘદ્રષ્ટિ નહીં દાખવતા વિંઝોલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં ભારે ભૂલો કરતાં મ્યુનિ. તિજોરી ઉપર નાણાંકીય બોજ વધી ગયા બાદ હવે ભૂલ સુધારીને રપ૦ એમએલડીનો નવો એસટીપી બનાવવામાં આવી રહ્યો છે.
મ્યુનિ. હદ વિસ્તરણ પહેલાં ઔડા દ્વારા નરોડા, ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારના ગટરના પાણી ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવા માટે વિંઝોલ ખાતે ર૦૧૦માં ૭૦ એમએલડીનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. જો કે, તે સમયે આ વિસ્તારોમાં વિકાસ પા પા પગલી ભરતો હતો.
ત્યારબાદ ઔડા વિસ્તારોનો મ્યુનિ. હદમાં સમાવેશ થતાં જ વિકાસ કૂદકેને ભૂસકે આગળ વધવા માંડયો અને પાણી, ગટર, રોડ, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી મ્યુનિ. તંત્ર ઉપર આવી પડી હતી.
આથી પૂર્વ અમદાવાદના નવા ઓઢવ, નવા નરોડા, નવા વસ્ત્રાલ અને રામોલ હાથીજણ સહિતના વિસ્તારોમાં નવા વિકાસની શરૂઆતની સાથે આવનારા સમયના વિકાસને ધ્યાને લીધા વગર જે તે સમયના મ્યુનિ. સત્તાધીશોએ વિંઝોલ ખાતેના ૭૦ એમએલડી પ્લાન્ટને હસ્તગત કરવાની સાથે ફકત ૩પ એમએલડીનો નવો એસટીપી બનાવી દીધો હતો.
વિંઝોલમાં ૭૦ અને ૩પ એમએલડીના બે પ્લાન્ટમાં ગટરના પાણીની આવક વધવા માંડી હતી અને ગંદા પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ મ્યુનિ.ને નવા રીંગ રોડ આસપાસના વિસ્તારો માટે ૧૬૦૦ મીમીની ઈસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન રણાસણ સર્કલથી નાંખી હોવાથી તેમાં ગટરના પાણીનો વધારો થઈ ગયો હોઈ ર૦ર૧માં નવો ૧૦૦ એમએલડીનો એસટીપી બનાવવામાં આવ્યો હતો.
આમ વિંઝોલ ખાતે કુલ ર૦૦ એમએલડી પાણી ટ્રીટમેન્ટ કરી શકે તેવા ત્રણ પ્લાન્ટ કાર્યરત થયા હતા તેમ છતાં રામોલ હાથીજણ અને ગેરતપુર વિસ્તારમાં થઈ રહેલા વિકાસને પગલે વધુ એક ૭પ એમએલડી પ્લાન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. એક જ જગ્યાએ જુદી જુદી ક્ષમતાના એસટીપીના કારણે મ્યુનિ. તિજોરી ઉપર નાણાંકીય બોજ વધી જવા પામ્યો હતો.
આ બાબતને ધ્યાને લઈ મ્યુનિ. ઈજનેર ખાતાએ આગામી સમયમાં પૂર્વ પટ્ટાના નવા વિસ્તારોમાં થનારા વિકાસને અનુલક્ષી નવો રપ૦ એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ નવો એસટીપી કાર્યરત થયા બાદ જૂના એસટીપીમાંથી કયા ચાલુ રાખવા અને કયા બંધ કરવા તે નક્કી કરાશે.

