ઉત્તર-પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીના મુંબઈ ફ્લેટમાં થયેલી ચોરીના સંબંધમાં અંબોલી પોલીસે સુરેન્દ્ર કુમાર દીનાનાથ શર્મા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી મનોજ તિવારીના ભૂતપૂર્વ કર્મચારી છે, જેને લગભગ બે વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ચોરી મુંબઈના અંધેરી વેસ્ટના શાસ્ત્રી નગર વિસ્તારમાં સુંદરબન એપાર્ટમેન્ટમાં થઈ હતી. મનોજ તિવારીના મેનેજર પ્રમોદ જોગેન્દ્ર પાંડે જે તેની સાથે છેલ્લા 20 વર્ષથી રહેતા હતા, તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટના બે હપ્તામાં બની હતી. જૂન 2025માં કબાટમાંથી 4.40 લાખ રૂપિયા ગુમ થયા હતા, પરંતુ ચોરનો પત્તો લાગ્યો ન હતો. આ પછી 15 જાન્યુઆરી 2026ની રાત્રે ફરી એક લાખ રૂપિયાની ચોરી થઈ.
આ રીતે આરોપી ઝડપાયો
તાળું તોડ્યા વગર વારંવાર પૈસા ગુમ થતા મેનેજરને શંકા ગઈ, ત્યારબાદ ડિસેમ્બર 2025માં ઘરની અંદર ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. 15 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે લગભગ 9 વાગે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે ભૂતપૂર્વ કર્મચારી સુરેન્દ્ર શર્મા ખૂબ જ આરામથી ફ્લેટમાં પ્રવેશ્યા હતા. તેની પાસે ઘર, બેડરૂમ અને કબાટની ડુપ્લીકેટ ચાવીઓ હતી. ફૂટેજમાં તે કબાટમાંથી પૈસા કાઢતો જોવા મળ્યો હતો. ઓળખ બાદ પોલીસને જાણ કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે.
આંબોલી પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ચોરીનો જથ્થો રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

