ગુજરાતની જેલોમાં બંધ બંદીવાનોની પરીક્ષા જેલની અંદર જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી યોજાઈ હતી જેમાં 40 બંદીવાનોમાંથી 22 ઉમેદવારો ઉત્તીર્ણ થયેલ છે.
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા ડાંગ (97.88 ટકા) – જ્યારે સૌથી ઓછું અમદાવાદ (શહેર) 87.10 ટકા પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન/સામાન્ય પ્રવાહ/ ગુજકેટ -2026નું પરિણામ તા. 04-05-2026ના રોજ સોમવારે સવારે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું અને ધોરણ 12ના વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન જોઈ શકાશે…
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું સરેરાશ પરિણામ ૯૨.૭૧% નોંધાયું છે, જેમાં વિદ્યાર્થિનીઓએ ૯૫.૪૧% સાથે વિદ્યાર્થીઓ (૯૦.૧૦%) કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.

આ પરીક્ષા માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર કુલ ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ૪,૦૩,૩૬૨ પરીક્ષાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે.

પરિણામની વિગતવાર માહિતી મુજબ, રાજ્યમાં આહવા ડાંગ જિલ્લો ૯૭.૮૮% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે અમદાવાદ (શહેર) ૮૭.૧૦% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. રાજ્યના તડાવ, કોટડા અને કાંગવાઈ પ્રશ્નાવાડા જેવા કેન્દ્રોએ ૧૦૦% પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે કારઠ કેન્દ્ર ૬૪.૮૮% સાથે સૌથી નીચા સ્તરે રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૩૦ શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત, જેલમાં સજા કાપતા ૪૦ બંદીવાનોએ પણ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૨ ઉમેદવારો ઉત્તીર્ણ થઈને નવું ભવિષ્ય બનાવવાની દિશામાં આગળ વધ્યા છે.
બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડ્યાએ તમામ સફળ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે અને જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા તેમને નિરાશ થયા વિના આગામી પૂરક પરીક્ષા માટે મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા છે. વિદ્યાર્થીઓને “બેસ્ટ ઓફ ટુ” (Best of Two) યોજનાનો લાભ મળશે, જેનાથી તેઓ પોતાનું પરિણામ સુધારી શકશે. આ વર્ષે પરિણામ જાહેર કરવાની કામગીરી ટેકનોલોજી અને શિક્ષકોના અવિરત પરિશ્રમના કારણે સમયસર પૂર્ણ કરવામાં આવી છે.
ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 535 કેન્દ્રો ઉપર તા. 26/02/2026 થી 18/03/2026 દરમિયાન યોજાયેલ હતી.

