(એજન્સી)ગાંધીનગર, હાલમાં ચાલી રહેલા ગુજરાતના વિધાનસભાના સત્ર દરમિયાન કલ્પસર યોજના વિશે ભારે ચર્ચા થઈ. કારણ કે, ૧૮ વર્ષના વહાણ વીતી ગયા, પરંતું કલ્પસર યોજના સરકારી કાગળોમાંથી ક્્યારેય બહાર આવી નથી. છતાં દર વર્ષે આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે, અને ખર્ચ પણ કરાય છે.
સરકારે જાહેર કરેલી કલ્પસર યોજના હજુ પણ કલ્પનાઓમાં છે તેવું ખુદ સરકાર સ્વીકારે છે. ૨૦૦૩ માં અપાયેલી વહીવટી મંજૂરીના ૨૩ વર્ષ બાદ પણ કલ્પસર યોજના ખોરંભે ચઢી છે. ૧૮ વર્ષમાં ૬ મુખ્યમંત્રી બદલાયા. ડઝનેક જેટલા ચીફ સેક્રેટરી નિવૃત્ત થયા, પરંતું કલ્પસર યોજનાને પગ ન આવ્યા.
પરંતું ૧૮ વર્ષમાં આ યોજના કરોડો રૂપિયા ખાઈ ગઈ છે. સરકારી આંકડા જ કહે છે કે, જે યોજનાનો ખર્ચ ૨૫ હજાર કરોડ હતો, તેને બદલે હવે તે ૧ લાખ કરોડ પર પહોંચી જશે. ગુજરાતમાં જળક્રાંતિ લાવવા માટે કલ્પસર યોજના લાવવામાં આવી હતી. આ યોજના સરદાર સરોવર નર્મદા યોજના બાદની ગુજરાતની સૌથી મોટી યોજના છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લાખો લોકોને પીવાનું તથા સિંચાઈનું પાણી પહોંચાડવાનું આયોજન છે.
પરંતું આ યોજના હજી પણ સરકારી ચોપડે છે, તે વાસ્તવિકતા બની નથી. ૧૮ વર્ષમાં તેનો પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર થયો નથી, છતાં દર વર્ષે તેના માટે સરકાર બજેટમાં રૂપિયા ફાળવે છે.
કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, છેલ્લા ૨ વર્ષમાં યોજના માટે ૮ સર્વે રિપોર્ટ પાછળ સરકારે ૨.૨૬૮ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૨.૧.૨૦૦૩ ના રોજ પૂર્ણ શક્્યતદર્શી અહેવાલ તૈયાર કરવા નિર્ણય લેવાયો હતો.

