ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીતનો ઈન્કાર કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધા છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેહરાન સાથે વાતચીત ચાલી રહી છે અથવા તો કોઈ ડીલ થવાની સંભાવના છે. કેટલાક ઈરાની મીડિયાએ વિદેશ મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે કોઈ સંચાર નથી. ઈરાને ટ્રમ્પના નિવેદનોને ઊર્જાના ભાવ ઘટાડવા અને સૈન્ય યોજનાઓ માટે સમય ખરીદવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે પ્રાદેશિક દેશો સાથે તણાવ ઘટાડવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ ઈરાનનો જવાબ સ્પષ્ટ છે કે યુદ્ધની શરૂઆત કરનાર પક્ષ અમેરિકા છે, તેથી તમામ અપીલો વોશિંગ્ટન દ્વારા ધ્યાનમાં લેવી જોઈએ. આ દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે અને સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. ટ્રમ્પે તાજેતરમાં ઈરાનના પાવર ગ્રીડ પરના હુમલાઓ 5 દિવસ માટે રોકવાની જાહેરાત કરી હતી, જેને તેમણે રાજદ્વારી ચાલ ગણાવી હતી. જોકે, ઈરાની મીડિયાએ આને અમેરિકાની ખચકાટ અને પીછેહઠ તરીકે દર્શાવ્યું હતું.
શું કહે છે ઈરાની મીડિયા?
ઈરાનના પ્રેસ ટીવીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે કોઈ સંપર્ક નથી, જ્યારે મેહર ન્યૂઝે ટ્રમ્પની ધમકીઓને ધૂની ગણાવી છે. તેહરાન ટાઈમ્સ અને આઈઆરઆઈબી જેવા મીડિયાએ પણ ટ્રમ્પની રણનીતિને કૂટનીતિના નામે પીછેહઠ ગણાવી હતી. ઈરાનના અધિકારીઓએ આને તેમની પ્રતિરોધક નીતિની સફળતા ગણાવી અને કહ્યું કે એનર્જી ગ્રીડ હવે યુદ્ધનું મેદાન બની ગયું છે. ઈરાને વારંવાર ભાર મૂક્યો છે કે તે યુદ્ધ લાદતા પક્ષ સાથે વાટાઘાટો કરશે નહીં.

