ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક પેટ્રોલ પંપ બંધ
(એજન્સી)ગાંધીનગર, મહેસાણા સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજી, પોરબંદર વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપ બંધ અથવા ડ્રાય આઉટ થયા છે. પંપ માલિકો મીનિમમ જથ્થો હોવાનું કહીને વેચાણ ટાળી રહ્યા છે.
આ સ્થિતિને કારણે વેપાર-ઉદ્યોગ, પરિવહન અને ટ્રાન્સપોર્ટરો ભારે હાલાકીમાં મૂકાયા છે. માલના આવ-જા પર અસર પડવાની આશંકા વધી છે. ટ્રાન્સપોર્ટરોએ બે દિવસ પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જો સત્વરે નિરાકરણ નહીં આવે તો માલવહન વ્યવસ્થા પર મોટી અસર પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ નજીક સોમનાથ-જેતપુર હાઈવે પર ડીઝલની ભારે અછત સર્જાઈ છે. હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલ લેવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી છે અને લોકો દિવસ-રાત કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે.
ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો, છકડા રિક્ષા ચાલકો અને નાના ધંધાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો નાના વેપારીઓને રોજગાર બંધ કરવાનો વારો આવી શકે છે તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. પંપો પર વાહનોની ભારે ભીડના કારણે આ વ્યસ્ત હાઈવે પર વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
અમરેલીના લાઠી પંથકમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે વહેલી સવારથી જ સ્થાનિક પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર લઈને પહોંચેલા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી.
ખેડૂતો કલાકો સુધી રાહ જોયા બાદ જ્યારે પંપ પર પહોંચે છે, ત્યારે તેમને માત્ર એક હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે. એક તરફ ખેડૂતો ખાતર મેળવવા લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે, તો બીજી તરફ ખેતીકામ માટે જરૂરી ડીઝલ માટે પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતા ખેડૂતોમાં તંત્ર અને સપ્લાય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીઝલની આ અછતને કારણે ખેતીકાર્યો ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભૂતવડ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ બહાર ડીઝલ માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડીઝલની અછતને કારણે ખેડૂતો અને વાહનચાલકો ભારે પરેશાન બન્યા છે. ચોમાસુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ કામ માટે રોજ ૫૦થી ૬૦ લિટર ડીઝલની જરૂર પડે છે, પરંતુ હાલમાં માત્ર ૫થી ૧૦ લિટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે.
વહેલી સવારથી ખેડૂતો ડીઝલ મેળવવા માટે પંપ બહાર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે. દેશમાં એક તરફ પ્રધાનમંત્રીએ જ્યારે ઇંધણનો બચાવ કરવાની વાત કરી છે. ચોમાસુ પણ નજીક હોય ખેડૂતોને ખેતીલાયક પાક લેવા માટે વાવણી કરવાનો સમય આવ્યો છે, ત્યારે જ આ ઈંધણની ખપતે ખેડૂતોને દુવિધામાં મૂકી દીધા છે.
જુનાગઢના પેટ્રોલ પંપ ઉપર એક તરફ ટ્રક, ટ્રેકટરો અને અન્ય વાહનોની લાઈનો જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ ખેડૂતો કેરબાઓ લઈ અને લાઈનમાં ઊભા છે. ખેડૂતોને સાતબારના દાખલા પર ૫૦ લિટર ડીઝલ આપવામાં આવતું હોવાનું નક્કી થયાનું જાણવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

