જીવનભર અનાથ-દર્દીઓની સેવા કરનાર પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું અવસાન
( પ્રતિનિધિ)મોડાસા, રાજેન્દ્રનગર (સહયોગ) ખાતે સંયુક્ત સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી માનવસેવાનો દીવો પ્રગટાવતા પદ્મશ્રી સુરેશભાઈ સોની હવે આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લા કેટલાંક સમયથી અસ્વસ્થ રહેલા સુરેશભાઈ સોનીએ અંતિમ શ્વાસ લીધા અને પ્રભુના શરણે ગયા. તેમના અવસાનથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સુરેશભાઈ સોનીએ પોતાના પરિવાર સાથે મળીને જીવનભર અનાથ બાળકો, કુષ્ઠરોગ પીડિતો અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓની સેવા કરી હતી. તેમણે માત્ર આશ્રય જ નહીં, પરંતુ પરિવાર જેવી લાગણી સાથે દર્દીઓની સંભાળ લીધી. તેમના આશ્રમમાં રહેતા લોકો માટે ખાદી ઉદ્યોગ, શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા ઉભી કરી તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કર્યા હતા.
સામાજિક રીતે તિરસ્કૃત અને પરિવાર દ્વારા અવગણાયેલા લોકો માટે સુરેશભાઈ અને તેમનો પરિવાર આશ્રયસ્થાન બન્યો હતો. ઈન્દિરાબેન સોની અને દીપકભાઈ સોની સાથે મળીને તેમણે સેવા અને સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની સેવાઓને કારણે સહયોગ આશ્રમ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઓળખ મેળવવામાં સફળ રહ્યો હતો.
તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ, સાબરકાંઠાના કલેક્ટર, સામાજિક સેવક નિલેશ જોશી, ડૉ. તમીર મહેતા. સાબરકાંઠા ડોક્ટર સહિત અનેક અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. સૌએ ભાવવિભોર થઈને તેમને અંતિમ વિદાય આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહજી તથા સામાજિક સેવક નિલેશ જોષીએ જણાવ્યું હતું કે, “આ પંથકમાં એક સાચા ગાંધીવાદી તરીકે પોતાનું તેમજ પોતાના પરિવારનું આખું જીવન માનવસેવામાં સમર્પિત કરનાર એવા પદ્મશ્રી સુરેશભાઈ સોનીની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેવી નથી.
તેમણે સેવા, કરુણા અને સમર્પણનું જે વટવૃક્ષ વાવ્યું છે, તે હંમેશા સમાજને પ્રેરણા આપતું રહેશે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.” સુરેશભાઈ સોનીનું જીવન સેવા, કરુણા અને માનવતાનું પ્રતિક રહ્યું છે. તેમના અવસાનથી સમાજે એક સચ્ચા સેવાધર્મી નેતા ગુમાવ્યો છે, પરંતુ તેમની પ્રેરણા અને કાર્ય હંમેશા જીવંત રહેશે.

