કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલા ઘુસર ગામ પાસે ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન-એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનનનો કાળો કારોબાર દિવસેને દિવસે બેફામ બનતો જઈ રહ્યો છે. ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલા ઘુસર ગામ પાસે ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ખાણ-ખનીજ વિભાગને ગોમા નદી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન અને હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે વિભાગની ટીમ દ્વારા સ્થળ પર અચાનક રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી પરમીટ વગર રેતી ભરેલા પાંચ ટ્રેક્ટરો ઝડપાયા હતા. વિભાગની ટીમ ટ્રેક્ટરો કબ્જે લેવાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે ખનીજ માફિયાઓ અને ટ્રેક્ટર માલિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હુમલો શરૂ કર્યો હતો. માફિયાઓએ પાવડા અને પથ્થરો વડે હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં, એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હુમલામાં બે કર્મચારીઓ રોયલ્ટી ઈસ્પેક્ટર કર્મરાજસિંહ જાડેજા અને માઈન્સ સુપરવાઇઝર કેયુર સેન્જલિય ને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘુસર ગામ નજીક ગેરકાયદે ખનનની આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં વિભાગની ટીમ પર હુમલાની ઘટના બની ચૂકી છે. તે સમયે પણ વિભાગ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી હતી, છતાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી ન થતાં તેમના હિંમત વધતી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોમાં પણ ખનન માફિયાઓના વધતા આતંકને લઈને રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકાની હદમાં ગેરકાયદે ખનનનો કારોબાર બેફામ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્ર ખનીજ માફિયાઓ સામે કઈ પ્રકારની કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

