પૃથ્વીની ‘કિડની’ સમાન જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણમાં ગુજરાતનું વૈશ્વિક અંકન
અમૃતકાળમાં ભારતની પર્યાવરણીય ક્રાંતિ: ૯૮ રામસર સાઇટ્સ સાથે ભારત દક્ષિણ એશિયાનું પર્યાવરણ લીડર બન્યું
કચ્છથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તાર: છારી-ઢંઢ અને પટના પક્ષી અભયારણ્યનો રામસર સાઇટ્સમાં સમાવેશ,૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું સુરક્ષિત કુદરતી કવચ
પંચરત્ન રામસર સાઇટ્સ: નળ સરોવર,થોળ,વઢવાણા, ખીજડીયા અને હવે છારી-ઢંઢ ગુજરાતની પર્યાવરણીય ઓળખ
*”રેલાય છે જ્યાં કુદરતની હેલી,એ જ છે આપણી વેટલેન્ડની શૈલી;જળ છે તો જીવન છે,અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.”* દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં‘વિશ્વ વેટલેન્ડ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે,જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો,નદીઓ,કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. ૧૯૭૧માં ઈરાનના‘રામસર‘શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,જેને‘રામસર સંમેલન‘તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં ૧૯૮૨માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે ભારત પર્યાવરણના જતન અને વિકાસના સંતુલિત મોડેલ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે. વેટલેન્ડ્સ જેને આપણે જળપ્લાવિત વિસ્તારો કહીએ છીએ,તે માત્ર પાણીના સંગ્રહસ્થાનો નથી પરંતુ તે પૃથ્વીની જૈવિક પ્રક્રિયાઓનું હૃદય છે. રામસર શહેરમાં થયેલી સંધિ બાદ વેટલેન્ડ્સના સંરક્ષણ માટે જે આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થયું હતું,તેને ભારતે છેલ્લા દાયકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી ઊંચાઈ આપી છે. ભારતની આ વિકાસયાત્રા હવે પ્રકૃતિના સંરક્ષણ સાથે અતૂટ રીતે જોડાઈ ગઈ છે.
*વર્ષ ૨૦૨૬ની વિશેષ થીમ અને સાંસ્કૃતિક વારસો*
વર્ષ ૨૦૨૬ માટેની થીમ “Wetlands and Traditional Knowledge: Celebrating Cultural Heritage”એટલે કે “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાની ઉજવણી” ભારતની અસ્મિતા સાથે સીધી જોડાયેલી છે. ભારતની સભ્યતા હજારો વર્ષોથી નદીઓ અને સરોવરોના કિનારે ફૂલીફાલી છે. આપણા પૂર્વજો પાસે જળ સંચય અને જળપ્લાવિત વિસ્તારોની જાળવણીનું જે પરંપરાગત જ્ઞાન હતું,તેને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. આ થીમ હેઠળ માત્ર પર્યાવરણીય પાસાઓ જ નહીં,પણ સ્થાનિક આદિવાસી સમુદાયો અને ગ્રામીણ જનતાની તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આસ્થાને પણ ઉજાગર કરવામાં આવી છે,જેઓ પેઢીઓથી આ કુદરતી સ્ત્રોતોના સાચા રક્ષક રહ્યા છે.
*ભારતની રામસર સાઇટ્સની ઐતિહાસિક સિદ્ધિ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે. ભારતની રામસર સાઇટ્સની સંખ્યામાં થયેલો અભૂતપૂર્વ વધારો એ સરકારની પર્યાવરણીય કટિબદ્ધતાનો જ્વલંત પુરાવો છે. જાન્યુઆરી ૨૦૨૬ સુધીની વિગતો મુજબ,તાજેતરમાં ગુજરાતમાં કચ્છના ‘છારી-ઢંઢ’ અને ઉત્તર પ્રદેશના ‘પટના પક્ષી અભયારણ્ય’નો રામસર સાઇટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત હવે કુલ ૯૮ રામસર સાઇટ્સ ધરાવે છે,જે દક્ષિણ એશિયાના કોઈપણ દેશની સરખામણીએ સૌથી વધુ છે. આ સાઇટ્સ અંદાજે ૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારને આવરી લે છે. પશ્ચિમ બંગાળનું ‘સુંદરબન’ તેના વિશાળ મેન્ગ્રોવ્સ સાથે ભારતનું સૌથી મોટું વેટલેન્ડ છે,જ્યારે હિમાચલ પ્રદેશનું ‘રેણુકા સરોવર’ સૌથી નાનું હોવા છતાં જૈવવિવિધતાની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ આંકડાઓ ભારતની ઇકો-સિસ્ટમની મજબૂતીનું પ્રતિબિંબ પાડે છે.
*ગુજરાતનું ગૌરવ: ‘છારી-ઢંઢ’નું વૈશ્વિક અંકન*

