મેટ્રો સેવા રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય-PM મોદીની અપીલ બાદ કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો: ૩૦૦ નવી બસો જનતાની સેવા માટે ખુલ્લી મુકાશે-
ગાંધીનગર, ગુજરાત સરકારની આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇંધણ બચત અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે કડક આદેશો આપ્યા છે, જેમાં વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા અને ઓનલાઈન મીટિંગ્સ પર ભાર મૂકવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે.
રાજ્યમાં જાહેર પરિવહનને વેગ આપવા માટે ૩૦૦ નવી એસટી બસો સેવામાં મૂકવાની અને મેટ્રોના સમયમાં રાત્રે ૧૧ વાગ્યા સુધીનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે, સાથે જ મંત્રીઓ અને અધિકારીઓને બિનજરૂરી કાફલા ટાળીને કારપૂલિંગ તથા ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરેલી અપીલ બાદ ગુજરાત સરકાર પણ સજ્જ બની છે અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો, ઇંધણ બચત અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
હવે સરકારી કામકાજ માટે જરૂરી હોય ત્યારે જ પ્રવાસ કરવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી બેઠકો ઓનલાઈન યોજાશે અને અન્ય રાજ્યોમાં યોજાતી બેઠકોમાં પણ જરૂરી હોય ત્યારે જ હાજરી આપવામાં આવશે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ટાળવા સૂચનાઓ આપવામાં આવી છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ અને ‘ઈંધણ બચાવો’ માટે કરેલી અપીલનો ગુજરાત સરકારે પણ અમલ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટો પર એકસાથે ૩૦૦ નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં, કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ, રીબન કટીંગ કે પ્રોટોકોલ મુજબના વીઆઇપી કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, હાલ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કરવું જ એવું નથી અને ન કરવું એવું પણ નથી. પરિસ્થિતિ મુજબ સરકાર નિર્ણય લેશે. ટેક્નોલોજીના ઉપયોગમાં વર્ક ફ્રોમ હોમનો પણ સમાવેશ થઈ શકે છે તેવી સંકેતરૂપ સ્પષ્ટતા તેમણે કરી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ચીફ સેક્રેટરી કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
નવા શૈક્ષણિક સત્ર પહેલાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દશેલા ખાતે મધુર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ગાંધીનગરમાં અંદાજે રૂ. ૬૦૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાગ લેશે.
પીએમ નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને માન આપીને, જીતુ વાઘાણીએ તેમનો આગામી અમેરિકા પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ મે મહિનાના અંતમાં ન્યૂયોર્ક ખાતે ેંદ્ગના મુખ્યાલયમાં આયોજિત વૈશ્વિક સહકારી સંમેલનમાં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા.
જાહેર પરિવહનનો વધુ ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકારે મેટ્રો સેવા રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો પણ સાદગીપૂર્ણ રીતે યોજવા સૂચના આપી છે.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત નહીં હોય, પરંતુ જરૂરિયાત મુજબ કર્મચારીઓ ઘરે બેઠા કામ કરી શકશે. સાથે જ, વર્ક ફ્રોમ હોમ ન કરવું એવો કોઈ કડક નિયમ પણ નહીં હોય. વિભાગો પોતાની જરૂરિયાત અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લઈ શકશે.

