બાંટવામાં આગેવાનોએ રજૂઆત કરીઃ બે સર્વે બાદ જમીન સંપાદન થશેઃ પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પુરો થશે
જૂનાગઢ, બાંટવા નગરપાલિકા ક્ચેરીના નવનિર્મિત ભવન, જવાહર ગાર્ડન અને એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે શાપુર-સરાળિયા વાયા કુતિયાણા, વાંસજાળિયા ટ્રેન ચાલુ કરવા પ્રથમ સર્વે બાદ ફાઈનલ સર્વે એમ બે સર્વે કરાશે. જમીન સંપાદન બાદ બજેટમાં સમાવવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે.
આ પ્રસંગે વોઈસ ઓફ સોરઠના કન્વીનર રાકેશ લખલાણી, બાંટવાના નગરપતિ સુનિલ જેઠવાણી, રાજકુમાર વાઘવાણી, જીવાભાઈ કોડીયાતર, ગણપત મોરી, મયૂરસિંહ ડોડિયા વગેરે હાજર હતા. તેઓએ કેન્દ્રીય મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયાએ જણાવ્યું કે આ પાંચ વર્ષનો પ્રોજેક્ટ છે જેનો રેલવે મંત્રીએ સૈદ્ધાંતિક સ્વીકાર કરી સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ફાઈનલ સહિત બે સર્વે બાકી છે. બાદ જમીન સંપાદનની કામગીરી થશે. બાદ રેલવે બોર્ડ મારફત બજેટમાં મુકાશે. આ કામ ખુબ મોટું છે. નિયમ મુજબ થતું જ રહેશે. નિયમ મુજબ જમીન સંપાદન, નવા ટ્રેકની કામગીરી, ફાઈનલ સર્વે સહિતની પ્રક્રિયા કરવાની હોય છે. હું આ પ્રોજેક્ટ પૂર્ણ કરાવીશ.
દરમિયાન બાંટવા માણાવદર વિસ્તારમાં નવા ઉદ્યોગ મળે તે માટે પૂર્વ નગરપતિ રાજકુમાર વાઘવાણી, નગરપતિ સુનિલ જેઠવાણી, ગણપત મોરી, રાકેશ લખલાણી સહિતના આગેવાનોએ ડો.માંડવિયાને રજૂઆત કરતા મંત્રીએ હકારાત્મક પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે જમીન ઉપલબ્ધ થઈ શકશે. પાણી ઉદ્યોગ માટે મળી શકશે.
બાંટવાના ખારા ડેમમાં વિશાળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જમીન પણ ટોકન ભાવે મળી શકશે. આ વિસ્તાર ખેતી આધારિત જ હોય જૂનાગઢ જિલ્લામાં એક પણ મોટા ઉદ્યોગ ન હોય લોકો અન્ય મહાનગરમાં સ્થળાંતર કરી રહ્યા છે. તેને અટકાવવા અને ભાવિ પેઢી માટે ઉદ્યોગ જરૂરી છે.

