(એજન્સી)ગાંધીનગર, ગીર વિસ્તારમાં વન્યજીવો અવારનવાર ખુલ્લા કૂવામાં ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા ગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલથી સુરક્ષિત કરવાની ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનો આજે નવમો દિવસ હતો. નવમા દિવસે બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળથી ગૃહની શરૂઆત થઈ હતી.
પ્રશ્નોત્તરી કાળમાં ગૃહમાં પશુપાલન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નો ગૃહમાં ઉઠ્યા હતા. જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા વિધાનસભામાં ગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલથી સુરક્ષિત કરવાની ખાસ યોજના અંગે વન મંત્રીને પ્રશ્ન પૂછ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી દ્વારા આ મુદ્દે જવાબ આપતા જણાવવામાં આવ્યું કે, ગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલથી સુરક્ષિત કરવાની ખાસ યોજના રજૂ કરતા જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ ગીર વિસ્તારમાં ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
વર્ષ ૨૦૨૪માં ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કુલ ૧૦૯૩ કૂવાઓને પેરાપેટ વોલ બનાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫માં ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં વધુ ૭૫૨ કૂવાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ યોજના માત્ર વન્યજીવોની સુરક્ષા જ નહીં, પરંતુ ખેડૂતોને આર્થિક ટેકો પણ પૂરો પાડે છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ચૂકવણી પણ તેમણે કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં ૧૦૯૩ લાભાર્થીઓને કુલ ૧૧૬.૮૮ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. તે પ્રમાણે ૨૦૨૫માં ૭૫૨ લાભાર્થીઓને કુલ ૮૪.૩૩ લાખ રૂપિયાનું ચૂકવણી કરવામાં આવી છે.

